ભાગ ૧૦૬: ખરેખર આપણે જીવવા માટે પાપો કરીએ છીએ કે મોજ-શોખ કરવા પાપો કરીએ છીએ?
આગળના ભાગમાં આપણે જોયું કે સુખનું ફળ મેળવવાની ઝંખના રાખવી, એ તો મોટામાં મોટી અજ્ઞાનતા છે….
હવે આગળ,
જો કોઇ એવું માને કે જીવવાને માટે તો પાપો કરવા જ પડે ને !!!
-
જેમ કે દુનિયામાં ચોર ચોરી કરે છે તો તે જીવવાને માટે જ કરે છે ને? જીવવાને માટે જો એ ચોરી વગેરે કરતા હોય, તો શું આપણે તેઓને આપણે સારી દષ્ટિએ જોઇએ?
- પોતાની ઈચ્છાનુસાર જીવવાને માટે, એને પૈસાની જરૂર હતી
- મહેનત કરવા છતાં પણ એને જે જોઈતું હતું તે મળ્યું નહિ
- જરૂરી પૈસા મેળવવાની બીજી કોઇ ખાસ આવડત એનામાં હતી નહિ.. હવે જો આપણે એમ કહીએ કે જીવવાને માટે તો પાપો કરવા જ પડે એવું માનીએ તો, ચોર પણ જીવવાને માટે પાપો કરે (એટલે કે ચોરી કરે) તો વાંધો શું?
- ખરેખર તો આપણે જીવવા માટે પાપો કરીએ છીએ કે મોજ-શોખો કે અન્ય જરૂરિયાતો પુરી કરવા પાપો કરીએ છીએ?
પાપ કરવું જરૂરી લાગે અને પાપ કરવા જેવું નથી એમ લાગે, તેમાં ભેદ છે.
- જીવવાને માટે, પાપ તો પાપ, પણ તે કરવું જ જોઈએ, આવું માનનારો, કયું પાપ ન કરે?
- પાપ કરવા છતાં પણ, જેને પાપ ડંખે છે, તે તો પાપથી બચવાના પ્રયત્ન કર્યા વિના રહે નહિ
- અને પાપથી બચવાનો પ્રયત્ન કરવા છતાં પણ જે પાપથી એ બચી શકે નહિ, તે પાપોને માટે એ એમ પણ કહી શકે કે
પાપને આચર્યા વિના જીવાય તેમ નથી, પણ જીવવાને માટે અનીતિ આદિ મોટાં પાપો તો નહિ જ કરવાં જોઈએ!
પાપથી વિરામ પામવાની ભાવના
- જૈન હોય તે પાપ કરે જ નહિ, એમ કહેવાય નહિ પણ જે જૈન હોય તેને પાપ કરવાનું ગમે નહિ અને પાપથી છૂટવાનું એનું દિલ હોય,
- પાપ કરવું પડે એવાં કર્મોને બાંધીને આવ્યો હોય તે પાપથી વિરામ પામવાના પરિણામો પ્રગટે નહિ એ બને, પણ જૈનપણાને પામ્યો હોય તો એ પાપને પાપ માને જ અને પાપથી છૂટવાના ધ્યેયવાળો પણ એ જરૂર હોય જ.
જીવવાને માટે કદાચ પાપ કરવાં પણ પડે, તોય એનું એને દુઃખ થયા વિના રહે નહિ.
- એક યા બીજી રીતિએ બંધાએલાં પાપોના નિવારણ માટે, પ્રતિક્રમણ કરવાનું વિધાન છે.
સામાયિક શા માટે?
- પાપ ઓછાં થાય
- પાપને તજવાની વૃત્તિ સતેજ બને
- અને સમભાવના સાચા સુખને અનુભવ કરી શકાય, એ માટે સામાયિક છે.
પૌષધ કરનારમાં પણ એ ભાવ હોવો જોઈએ કે
આમ તો આપણે પાપમાં જ જીવીએ છીએ, પણ બે-પાંચ તિથિ પાપથી બચીએ, એ માટે પૌષધ છે.
આમ મનુષ્યભવનું લક્ષ્ય પાપરહિત થવાનું, જેમ બને તેમ પાપોનો ત્યાગ કરાય અને ન છુટકે જે કંઇ પણ પાપ કરવું પડતું હોય તેનું હૈયે દુ:ખ હોય તો આપણો જન્મ કિંમતી ગણાય.
વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶