ભાગ ૪: અઠાઇ-માસક્ષમણ અને અન્ય તપ કર્યા હોય છતા જો રાત્રિભોજન કરીએ તો?
આગળનાં ભાગમાં આપણે જોયું કે રાત્રિભોજનને ત્યાગ કરવા મજબુત મનોબળની જ જરૂર છે….
- જો આપણું મનોબળ મજબુત હોય અને પ્રભુની આજ્ઞાની પુર્ણ શ્રધ્ધા હોય ને ગમે તે સંજોગોમા રાત્રિભોજન ન કરવાનું નક્કી કરેલ હોય તેમ છતા જો મનોબળ થોડું પણ નબળું થશે તો નીચે બતાવેલા સંજોગોમા રાત્રિભોજન ન કરવાનો નિયમ તુટી શકે…
૧. કોઈ લગ્ન પ્રસંગોમાં, કોઈ પાર્ટી વગેરેમાં ભોજનનું નિમંત્રણ આવશે
- ભોજન પ્રાયઃ રાત્રિ સમયે જ હશે. તો શું હું સ્પષ્ટ ઈન્કાર કરી શકીશ?
- “હું રાત્રિભોજન નથી કરતો” એવી સ્પષ્ટ વાત કરી શકીશ?
૨. કોઈક વાર કાર્યવશાત સુર્યાસ્ત પૂર્વે ઘેર પહોંચી ન શક્યો, સુર્યાસ્ત થઈ ગયો; તો શું ભોજન વગર ચલાવી લઈ શકીશ?
૩. ઘરમાં મારા સિવાય બધાં જ રાત્રિભોજન કરે છે, તેમને પ્રતિદિન રાત્રિભોજન કરતાં જોઈને મારા મનમાં રાત્રિભોજન કરવાની ઈચ્છા તો નહીં થાય ને?
૪. કદીક રાતના સમયે અતિશય ભૂખ લાગવાથી રાત્રિભોજન કરવા તૈયાર નહીં થઈ જાઉં ને ? વ્રતભંગ તો નહીં થાય ને?
- જો ઉપરના પરિબળોનો વિચાર કરી અને દ્રઢ મનોબળ સાથે… ડગલું ભર્યું કે પાછું ન હઠવું…. તો રાત્રિભોજન ત્યાગ એકદમ સરળ થઇ જશે… બસ હવે ફક્ત સંકલ્પ જ કરવો રહ્યો
અઠાઇ-માસક્ષમણ અને અન્ય તપ કર્યા હોય છતા જો રાત્રિભોજન કરીએ તો?
- શું પ્રભુ એ આવી રીતે તપ કરવાનુ કહ્યું છે?
તપ શા માટે?
-
રસનેન્દ્રિયની લાલસા તૂટે, આહારસંજ્ઞા તૂટે, આહારની ગુલામીમાંથી મુક્ત બની, અણાહારી પદને પામીએ માટે પ્રભુએ તપ કરવાનું કહ્યું છે. જે વ્યક્તિ અનિવાર્ય એવા આહારને પણ દિવસો સુધી છોડી શકે તેને રાત્રિભોજન કેમ કરવું પડે?
-
જો માહોલમાં ને માહોલમાં અથવા ઉલ્લાસથી તપ થઇ જાય પણ કાયમ માટે રાત્રિભોજન ત્યાગ ન થઇ શકે અથવા ન કરે તો તેનો અર્થ તો એવો થયો કે કોઇ વ્યાપારીને સીઝનનો ટાઇમ હોય અને સીઝનમાં ૧૭ કલાક કામ કરે અને ખુબ જ કમાણી કરી લે પરંતુ બાકીના સમયમાં ૮ કલાક કામ કરે પરંતુ તે સમય દરમ્યાન નુકશાનથી તો ધંધો ન જ કરે ને?
-
અહીં એવું થાય છે, જે તપ કર્યા તેમાં નફો કર્યો, પુણ્ય ઉપાર્જન કર્યું પરંતુ બાકીના સમયમાં રાત્રિભોજન કરીને, પાપ કરીને, પાપના કર્મો બાંધ્યા એટલે અપેક્ષાએ તો સદા રાત્રિભોજનનો ત્યાગ કરવો.
રાત્રિભોજન સંબંધમાં ૪ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે:
- ૧. દિવસે બનાવેલું રાત્રે ન ખવાય.
- ૨. રાત્રે બનાવેલું રાત્રે ન ખવાય.
- ૩. રાત્રે બનાવેલું દિવસે ન ખવાય.
- ૪. દિવસે બનાવેલું દિવસે જ ખવાય.
રાત્રિભોજન ત્યાગનું ફળ:
- બે દિવસ રાત્રિભોજનના ત્યાગથી ૧ ઉપવાસનું ફળ મળે છે.
- ૧ મહિનાના રાત્રિભોજનના ત્યાગથી ૧૫ ઉપવાસનું ફળ મળે છે.
- ૧ વર્ષના રાત્રિભોજનના ત્યાગથી ૬ માસના ઉપવાસનું ફળ મળે છે.
- આખી જીંદગીના રાત્રિભોજનના ત્યાગથી અડધી જીંદગીના ઉપવાસનું ફળ મળે છે.
જેમણે રાત્રિભોજન નો ત્યાગ કર્યો છે તેમણે નીચેનામાં થી એક પચ્ચક્ખાણ લેવું જેથી વિરતિ માં રહે.
૧. ચઉવિહાર:
- જો ચઉવિહારનું પચ્ચક્ખાણ લીધું હોય તો સૂર્યાસ્ત પછી કંઇ પણ (પાણી પણ) લઇ શકાતું નથી.
૨. તિવિહાર:
- જો તિવિહારનું પચ્ચક્ખાણ લીધું હોય તો સૂર્યાસ્ત પછી ફક્ત પાણી જ પી શકાય.
- અહીં પાણીની છુટ છે પણ તે ખુલ્લામાં ન પીવાય. વળી બેસીને મુઠ્ઠી વાળીને ૩ નવકાર ગણીને પીવું. પાણી પી લીધા પછી હાથ જોડી ૧ નવકાર ગણવો.
- ફ્રીજનું પાણી, બરફનું પાણી, અળગણ પાણી તેમજ ઠંડા પીણા વગેરે ના પીવાય.
- અમુક જ વાર પાણી પી શકાય તેવો નિયમ આ પચ્ચક્ખાણમાં નથી.
૩. દુવિહાર:
- જો દુવિહારનું પચ્ચક્ખાણ લીધું હોય તો સૂર્યાસ્ત પછી ફક્ત દવા અને પાણી જ લઇ શકાય.
- જો કે બને ત્યાં સુધી સાંજે સૂર્યાસ્ત સુધી જ દવા લઇ લેવી. ડોક્ટર રાત્રે દવા લેવાનું કહે ત્યારે સાંજે સૂર્યાસ્ત પહેલા તે લેવામાં વાંધો નથી.
- અમુક જ વાર પાણી પી શકાય તેવો નિયમ આ પચ્ચક્ખાણમાં નથી.
જો કોઇ રાત્રિભોજનના પચ્ચક્ખાણવાળા સૂર્યાસ્તની ૪૮ મિનીટ બાકી રહી હોય તેમાં ભોજન કરે તો રાત્રિભોજન પચ્ચક્ખાણનો તેને ભંગ થાય કે નહીં?
- શેષ ૪૮ મિનીટમાં ભોજન કરનારાઓને રાત્રિભોજનનો અતિચાર લાગે છે પણ પચ્ચક્ખાણનો ભંગ થતો નથી.
આપણે રાત્રિભોજન વિશે ૪ ભાગમાં જોયું કે રાત્રિભોજન ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખુબ જ હાનિકારક છે. આપણા જૈન ધર્મમાં સર્વજ્ઞ ભગવંતોએ તો પહેલેથી જ રાત્રિભોજનને મહાપાપ ગણાવ્યુ છે પરંતુ આપણે જૈન કુળમાં જન્મી, રાત્રિભોજન વિશે જાણતા હોવા છતા આ મહાપાપ કર્યા જ કરીએ છીએ, તો શું આપણે આપણી જીભ અને જઠરાગ્નિની લાલસાને અમુક કલાકો માટે શાંત કરીને રાત્રિભોજનનો ત્યાગ ન કરી શકીએ?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶