ભાગ ૩૦: લોકો શેઠ બનવા માટે કેટલી ભાગ-દોડ કરે છે. જ્યારે પૂરણચંદ શેઠ સર્વસ્વ દાન કરી અને ગરીબ બન્યા!!
આગળનાં ભાગમાં આપણે પ્રભુદર્શન અને દર્શનાચાર વિશે જોયું…
આ ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે જોઇએ…
5A. મન અને દર્શન(ધાર્મિક ક્રિયા)
- પ્રભુ દર્શન કે અન્ય ધાર્મિક ક્રિયામાં એકાગ્રતા અને આનંદ અતિ જરૂરી છે. વ્યવહારમાં પણ આપણે ગાડી ચલાવતાં હોઇએ અને વચ્ચે ૨૦-૨૫ સેકંડ જો નિંદર આવી જાય અથવા તો કોઇ અન્ય વિચારમાં મશગુલ થઇ જઇએ તો તે ચાલે?
- ગાડી ચલાવતાં ફકત થોડી સેકંડની નિંદર પણ જો અકસ્માત સર્જી શકે તો દર્શન કે અન્ય ધાર્મિક વિધીમાં પણ જો આપણું ચિત તેમા ન રહે અને અન્યત્ર ચાલ્યું જાય તો તે ધાર્મિક વિધીનું ફળ આત્માનાં ભાવોનું અકસ્માત જેવું ન ગણાય?
મનને એકાગ્ર રાખવા શું કરવું?
- કોઇ પણ ક્રિયા કરતા પહેલા મનમાથી અન્ય વિચારો કાઢીને મનને હળવું કરવું.
- જો વિચારો પાપના હોય તો એમ વિચારવું કે આ માનવભવ પાપ વિચારો માટે નથી મળ્યો અને શુભ વિચારો કરવા.
- તેમ છતા દર્શન અથવા ધાર્મિક ક્રિયા કરતી વખતે જો કોઇ અન્ય વિચાર આવે તો ૧૨ નવકાર ગણવાનું કે બીજું કોઇ પ્રાયશ્ચિત લેવું. જેનાથી એકાગ્રતા આવે છે.
- ક્રિયાનું સ્થાન એવું પસંદ કરવું કે જ્યા ક્રિયાની એકાગ્રતા ને બાધ ન કરે.
- ક્રિયા કરતી વેળાએ દ્રષ્ટિ બીજે ક્યાંય ફેરવવી નહીં જેમ કે દેરાસર મા “નિસીહિ” બોલ્યા બાદ ફક્ત નીચી દ્રષ્ટિ રાખીને જ ચાલવું જેથી અન્ય સંકલ્પ-વિકલ્પ નું સ્થાન ન રહે.
-
શુન્ય મગજ થી થતી ક્રિયા સંમૂર્છિમ ક્રિયા છે એ સમય બરબાદ કરી અને નિષ્ફળ દ્રવ્ય ક્રિયા કરાવે છે. જેથી મનનો ઉપયોગ જાગૃત રાખવો.
- શુભ વિચારો જેવા કે
“અહો ! હુ કેવો ભાગ્યશાળી કે મને આ પાપથી ભરેલા કાળમાં દુર્લભ એવી આ પુણ્ય ક્રિયા મળી..”
“ક્યાં મારા આત્માની અધમતા અને કેવો ઉતમ આ યોગ”
“વિચાર શકિતથી ક્રિયાને અનુરૂપ ચિત્ર મનમાં ઉભું કરવું”
- આપણે જ્યારે દર્શન અથવા કોઇપણ ધાર્મિક વિધી કરતા હોઇએ અને તે વિધી ચાલું હોય અને પૂરી પણ થઇ જાય તો પણ આપણું મન તેમાં ન હોવાથી આપણને તે દર્શન અથવા વિધીની કંઇ જ ખબર હોતી નથી અને તે દર્શન અથવા વિધી કરી બહાર પણ નીકળી જઇએ છીએ તો વખતે મન ધંધાના અથવા કોઇ પણ વિચારોમાં પરોવાયેલું હોય અને તે અંગેના વિચારો ચાલુ રહેતા હોય છે.
મનમાં સામાન્ય પણે ક્યાં વિચારો આવતા હોય છે?
- જો આપણે ધંધો કરતા હોય તો ધંધાને લગતા જેવા કે કોઇની પાસેથી માલ લેવાનો હોય, ઉઘરાણી બાકી હોય તો તે લેવાની હોય વગેરે વગેરે..
- જો શેર બજારનું કામ કરતા હોઇએ તો પ્રભુનાં દર્શન કરતા કરતા આજે તો બજાર ૧૦૦૦ પોંઇટ તૂટી ગયું છે… વગેરે
સંસારની ક્રિયાનો અધિકભાર ન લઇએ ત્યારે સંસારમાં વલોપાત, ચિંતા અને વિકલ્પના ભારને નીચે ઉતારતા આવડે તો ધર્મક્રિયામાં પ્રમાદ ઉભો ન રહી શકે. જૈન શાસનમાં અર્થકામ એ મહાપ્રમાદ છે. પૈસા એ માટીની ચીજ, માટીમાં મળી જવાની. વિષયો પણ માટીના અને તેમાં જ મળી જવાના. તો શું આત્મા એવો રંક છે કે માટીની ચીજ ખાતર આત્માને વેંચે?
- તો આ બધા વિચારો કઇ રીતે ઓછા થાય તેના માટે આપણે એક દ્રષ્ટાંત જોઇએ..
લોકો શેઠ બનવા માટે કેટલી ભાગ-દોડ કરે છે. જ્યારે પૂરણચંદ(પૂનમચંદ) શેઠ સર્વસ્વ દાન કરી અને ગરીબ બન્યા!!
પુણિયો કેમ ગરીબ થયો?
- આપણે સૌ પુણિયા શ્રાવક વિશે તો સાંભળ્યું જ હશે, તે પહેલા શ્રીમંત પૂરણચંદ શેઠ હતા. એમના ઘરમાં લક્ષ્મીનો સાક્ષાત વાસ હતો, દુનિયાભરના બધા સુખ એના પગમાં હતા.
- તેમણે જાતે શ્રીમંતાઇ ફગાવી ગરીબી અપનાવેલી. એક વખત ગુરૂ પાસેથી ધર્મ સ્થિરતાના મહા ઊંચા લાભ સાંભળી,
- પૂરણચંદ શેઠ: ભગવંત, મારે દેવ-દર્શન-પૂજા-સામાયિક-પ્રતિક્રમણ વગેરેમાં ચિત્ત સ્થિર રહેતું નથી, તો સ્થિરતા કેવી રીતે લાવવી?
- ગુરૂ: ધન સર્વ અનર્થોની ખાણ છે એ માટે ધનના વિષયમાં કંઇક તો મર્યાદા રાખવી જ જોઇએ. બહાર મોટો પથારો (ખુબ જ મોટા વેપારી હતા) હોવાથી મન એની સાથે બંધાયેલું છે એટલે વિચારો કરે છે. પ્રભુએ તો શુદ્ધ ધર્મની આરાધના માટે સંયમ બતાવ્યો છે. એ ન બને તો ઉચ્ચ શ્રાવક ધર્મ પાડવાનું કહ્યું છે, એ પણ ન બને તો યથાશક્તિ ત્યાગ સાથે અથવા તો ત્યાગના પ્રબળ રાગ સાથે શક્ય ધર્મ સાધના કરવાનું કીધું છે. પરંતુ તેમાં જેટલા પથારા હોય તો મનને સતાવ્યા કરવાના.
- પૂરણચંદ શેઠ: પ્રભુ મને માર્ગ મળી ગયો.
- પૂરણચંદ શેઠે ઘરે જઇને શ્રાવિકાને કહ્યું કે તારણહાર મહાન ધર્મસંપતિ જોઇએ છે કે ભવમાં ભમાવનારી અર્થ સંપતિ?
- શ્રાવિકા: અનંત ઉપકારી દેવ-ગુરૂ મળ્યા પછી જો આપણે ધર્મ નહીં કરીએ તો જીવન તો જોતજોતામાં પૂરું થઇ જશે અને અર્થ સંપતિના ઢગલાં અહીં જીવોના સંહાર કરતા પડ્યા રહેશે માટે સાચી ધર્મ સંપતિ જ જોઇએ.
- પછી તો પુરણચંદશેઠે પોતાના પાસે રહેલી અપાર સંપતિનું સાતેય ક્ષેત્રોમાં દાન કરી દીધું, વાડી, બંગલો, દુકાન બધુ કાઢી નાખ્યું અને ભાડુતી મામૂલી ઘરમાં માત્ર ૨ આનાની મુડી રાખી ને રહ્યાં રોટલો ખાવા એ ૨ આનાનુ રૂ લાવી એની પૂણીઓ વણી લઇ વેપારી ને આપી ને ૪ આના લેવાના. આમ, ૨ આનાના નફા ઉપર ભોજન, વસ્ત્ર, ભાડું વગેરે નભાવવાનું. એ પૂરણચંદ શેઠ મટી “પુણિયા શ્રાવક” તરીકે પ્રસિદ્ધ પામ્યા.
કેવો ધર્મ રંગ?
કેવો ત્યાગ?
આને નજર સામે રાખીને આપણે અંશે અંશે તો ત્યાગ કરી શકીએ ને? - તેવામાં એક વખત રાજગૃહિ નગરીમાં શ્રી વીરપ્રભુ પધાર્યા અને પુણિયો શ્રાવક પ્રભુની દેશના સાંભળવા ગયો, દેશનામાં સાધર્મિક ભક્તિ એ શ્રાવકનું રોજીંદું કર્તવ્ય છે એ વાત આવી અને તેના મનમાં થયું કે સાધર્મિક ભક્તિનું કર્તવ્ય હું બજાવી શકતો નથી અને ધર્મ માટે વધારે પાપ કરવાનો પથારો કરવો નથી.
- તેથી તેના મુખ ઉપર દુ:ખ દેખાય છે. ત્યારે તેની પત્નિએ તેને પુછ્યું કે આજે કેમ ચિંતામાં દેખાવ છો? તો તેના જવાબમાં પુણિયાએ કહ્યું કે હું એટલું કમાઉ છું આપણા બે ના જીવનનિર્વાહ થાય અને પ્રભુએ આજે સાધર્મિક ભક્તિનું કર્તવ્ય શ્રાવકે બજાવવાનું હોય છે એવું દેશનામાં કહ્યું તો એ કર્તવ્ય આપણે બજાવી શક્તા નથી અને વધુ ધંધો કરવાની મારી ઇચ્છા નથી, તો આ કર્તવ્ય કેવી રીતે બજાવવું તેની મને ચિંતા છે.
- પત્નિ: એમાં શું, એક દિવસ તમે ઉપવાસ કરજો અને એક દિવસ હું ઉપવાસ કરીશ એટલે ધંધો પણ વધારે નહીં કરવો પડે અને સાધર્મિક ભક્તિ પણ થઇ જશે.
- પુણિયો શ્રાવક આ સાંભળીને ખુશ થઇ ગયો અને એ પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરી.
અહીં તેની પત્નિને એવો વિચાર ન આવ્યો કે તમે વધુ કમાવ તો આપણે સાધર્મિક ભક્તિ કરીએ.
આમ આપણે પણ ૨૪ કલાક જો ચિતમા-મનમા ધંધો બેઠો હોય તો પુણિયા શ્રાવકની જેમ તો કદાચ ન બને પરંતુ અંશે અંશે તો ત્યાગ કરી શકીએ ને?
હવે પછીના ભાગમાં આપણે મન અને દર્શન(ધાર્મિક ક્રિયા) વિશે વધુ તેમજ સમતા વિશે શ્રીપાળ રાજાના ઉદાહરણ સાથે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶