ભાગ ૨૧: પૂજા માટેના મુખકોષમાં આઠપડ શા માટે? તેમજ સ્તુતિ અને સ્તવન અંગે જાણવા જેવું
ભાગ ૨૦માં પ્રભુદર્શન કેવી રીતે કરવા? અને પ્રભુ સન્મુખ કરાતી વિવિધ ભાવવાહી સ્તુતિઓ વિશે જોયું.
સ્તુતિ અને સ્તવન અંગે
- દરેક વ્યક્તિને જુદી-જુદી સ્તુતિમાં જુદા-જુદા ભાવો આવતા હોય છે.
- એવી જ રીતે સ્તવન અંગે પણ જુદા-જુદા સ્તવનમાં ભાવમાં વૃદ્ધિ થતી હોય છે.
- દરેક વ્યક્તિ ઉલ્લાસપૂર્વક પોતાના સંજોગો અનુસાર પોત-પોતાની ક્રિયા કરી શકે છે અને તેના અનુસંધાને જ તેના ભાવમાં વૃદ્ધિ થતી હોય છે.
- આથી જ દેરાસરમાં ઘોંઘાટનું બહાનું કાઢીને વ્યક્તિગત ઉલ્લાસને રોકવા ન જોઇએ.
- દરેકને છૂટથી સ્તુતિ-સ્તવન બોલવા દેવાની છૂટ છે.
શાંતિ રાખવાની અથવા તો મંદ સ્વરે બોલવાની સૂચના આપનારા પાટીયા વિપરીત જણાય છે.
- પણ સાથોસાથ એ પણ છે કે જેનો રાગ ખુબ જ સુંદર હોય અને તે વ્યક્તિ સ્તુતિ-સ્તવન બોલતા હોય - ગાતા હોય તે વખતે જે વ્યક્તિનો રાગ ભેંસાસૂર અથવા તો સારો ન હોય તેવી વ્યક્તિ જો બરાડા પાડીને - મોટેથી ગાય તો તે ચોક્કસ ઘોંઘાટ બની શકે.
- ખરેખર તો જેનો રાગ સુંદર હોય તે વ્યક્તિ સ્તુતિ-સ્તવન મોટેથી ગાતા હોય, મોટેથી ગાવું જ જોઇએ, તે વખતે બીજાઓએ શાંત રહી આ સ્તુતિ સ્તવન શાંતિથી સાંભળવા જોઇએ.
- સારી રીતે ગવાતા સ્તુતિ-સ્તવનમાં અપૂર્વ આનંદ મળે છે અને બીજાને પણ આનંદ આપનારા થાય છે.
- તેમાં ચિત્તને એકાગ્ર કરવાનો બહુ મોટો ગુણ રહેલો છે.
- ભક્તિરસની જમાવટ કરવા માટે સુંદર રીતે ગવાતા સ્તુતિ-સ્તવન જેવું અન્ય કોઇ સાધન નથી.
- જેમ હાથનો સદઉપયોગ દાન છે, જેમ કાન નો સદઉપયોગ શાસ્ત્રશ્રવણ છે, તેમ કંઠનો સદઉપયોગ પ્રભુના ગુણગાન છે.
- એ ગાન જરાપણ શરમ વિના મૂક્તકંઠે ગાવું જોઇએ.
સ્તુતિ કર્યા બાદ વાસક્ષેપ પૂજા કરવી જોઇએ.
- શાસ્ત્ર મૂજબ તો ત્રિકાળ પૂજા જ કરવી જોઇએ તે વિશે આપણે ભાગ ૭ માં જોયું.
-
ઉત્સર્ગ માર્ગે તો આ ત્રણે પૂજા કરવી જોઇએ પરંતુ અપવાદ માર્ગે તો પોતાની આજીવિકાને વાંધો ન આવે તે પ્રમાણે પોતાને અનુકૂળ નિશ્ચિત સમયે કરી શકાય.
ત્રિકાળ જિનપૂજાનું ફળ:
- જે ભવ્યાત્મા રાગ-દ્રેષથી રહિત એવા જિનેશ્વર પરમાત્માની ત્રિકાળ પૂજા કરે છે તે ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમા ભવે સિદ્ધગતિનેે પામે છે.
- પ્રાત: કાળે કરેલી જિનપૂજા એટલે કે વાસક્ષેપ પૂજા રાત્રિએ કરેલા પાપોનો નાશ કરે છે.
- મધ્યાહન કાળે કરેલી જિનપૂજા આખા જન્મના કરેલા પાપોનો નાશ કરે છે.
- સંધ્યા સમયે કરેલી જિનપૂજા સાત ભવના પાપોનો નાશ કરે છે.
મુખકોષ:
- આઠપડ શા માટે?
- મુખકોષ બાંધતી વખતે આઠપડ થવા જોઇએ કારણ કે આપણને મળેલું શરીર એટલું બધુ અશુચિમય, ગંદુ અને દુર્ગંધવાળુ છે કે જેથી એ શરીરમાંથી નિકળતો શ્વાસ પણ અતિશય દૂષિત બની જતો હોય છે.
- એ નિકળતો દૂષિત શ્વાસ પરમાત્મા સુધી ન પહોંચે અને આશાતના ન થાય તે માટે આઠપડ બાંધવાની મર્યાદા મહાપુરૂષોએ દર્શાવી છે.
- આ વિધિ નાનકડા રૂમાલમાં શી રીતે જળવાય?
- ખેસ મોટો હોવાના કારણે આ મર્યાદા બરાબર સચવાય શકે છે.
- શ્વાસની દુર્ગંધથી કે થૂંક - લાળ વગેરે પડવાથી પ્રભુનું અંગ કે પૂજાની સામગ્રી અશુદ્ધ ન થાય તે માટે ૮ પડવાળો મુખકોષ બાંધવો જરૂરી છે.
- આઠપડો મુખકોષ કરવા માટે ખેસના છેડાને ત્રણ વાર અંદર તરફ વાળવાથી આઠપડો મુખકોષ થઇ જશે.
- મુખકોષ એ રીતે બાંધવો જેથી મુખ અને નાક બરાબર રીતે બંધાય.
- બહેનોએ ખેસ રાખવાનો નથી એટલે એક મીટર લાંબો અને એક મીટર પહોળો સીવ્યા-ઓટ્યા વિનાનો રેશમી રૂમાલ રાખવો જેના અષ્ટપડ બરાબર બની શકે.
- મુખકોષમાં થતી વિધિ-અવિધિ:
- પ્રભુજીની દ્રષ્ટિ ન પડે તેવી જગ્યાએ ઉભા રહીને આઠપડો મુખકોષ બાંધવો.
- મુખકોષ વ્યવસ્થિત બાંધ્યા પછી વારંવાર મુખકોષનો સ્પર્શ કરવો અથવા ઉંચોનીચો કર્યા કરવો તે અવિનય કહેવાય.
- ખેસ અથવા રૂમાલ ફક્ત એક હાથે મોઢા ઉપર ઢાંકી કેસરપૂજા કે પુષ્પપુજા કે અન્ય કોઇપણ પૂજા કે પ્રભુજીનો સ્પર્શ કરવાથી આશાતના લાગે.
- મુખકોષ બાંધ્યા પછી મૌન ધારણ કરવું જોઇએ. દુહા આદિ પણ મનમાં ભાવી શકાય. પણ મંદ સ્વરે પણ ઉચ્ચાર ન કરાય.
- મુખકોષ એટલી મજબુતાઇથી ન બાંધવો કે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ એટલો ઢીલો પણ ન બાંધવો કે વારે વારે મુખ પર બાંધવા ઉંચો કરતું રહેવું પડે.
- ખેસથી મુખકોષ બાંધવાથી અમારૂ શરીર ખુલ્લુ થઇ જાય તો શરમ આવે એટલા માટે રૂમાલનો ઉપયોગ કરીએ તો?
- આવું ત્યારે જ બને કે જ્યારે ખેસ નાનો હોય. ખેસ મોટો અને સુવ્યવસ્થિત હોય તો આવું બને જ નહીં.
- આ ખેસની વાત પુરૂષો માટે જણાવી છે અને પુરૂષોનું ઉપરનું અંગ ખુલ્લું રહે તેમાં શરમ શેની આવે? અને આવી શરમના કારણે જરૂરત કરતા વધુ અંગ ઢાંકે અને અવિધિ કરે તે માટે અમુક ક્રિયામાં તો મહાપુરૂષોએ “થણદોષ” નામનો દોષ જણાવ્યો છે. વિના કારણે એવા દોષને શા માટે વહોરવો જોઇએ?
હવે પછીનાં ભાગમાં આપણે વાસક્ષેપ પૂજા વિશે જોઇશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶