ભાગ ૨૩: પૂજા અંગેની અગત્યની પ્રશ્નાવલી
ભાગ ૨૨માં આપણે વાસક્ષેપ પૂજા વિશે જોયું.
૧. શું રાઇ-પ્રતિક્રમણ કરતા પહેલા દેરાસરે જવાય?
- શાસ્ત્ર મૂજબ રાઇ-પ્રતિક્રમણ કરતા પહેલા દેરાસરે ન જવાય તેમજ દેરાસરે જઇને આવ્યા પછી રાઇ-પ્રતિક્રમણ ન થાય.
૨. સવારે વાસક્ષેપ પૂજા અથવા દર્શન કરવા ક્યારે જવાય?
- જ્યારે સૂર્યોદય થઇ ગયો હોય અને બરાબર અજવાળું થઇ ગયું હોય…
- રસ્તા વગેરે સાફ નજરે આવતા હોય ત્યારે દેરાસર વાસક્ષેપ પૂજા કરવા અથવા દર્શન કરવા જવું જોઇએ.
૩. પ્રાત:કાળની વાસક્ષેપ પૂજામાં મુખશુદ્ધિ કરવી જરૂરી છે?
- ના
૪. પ્રાત:કાળની વાસક્ષેપ પૂજામાં સ્નાન કરવું જરૂરી છે?
- ના, પ્રાત:કાળની વાસક્ષેપ પૂજામાં સ્નાન કરવાની જરૂર નથી.
- લધુસ્નાન એટલે કે હાથ-પગ અને મોં ધોઇ લઇએ તો ચાલે.
૫. વાસક્ષેપ પૂજામાં પ્રભુને સ્પર્શ કરી શકાય?
- ના, પ્રભુને અધ્ધરથી વાસક્ષેપ નાખી પૂજા કરવાની હોય છે.
૬. વાસક્ષેપ પૂજામાં મધ્યાહન પૂજા (ચંદન પૂજા) ના વસ્ત્રો પહેરી શકાય?
- ના, વાસક્ષેપ પૂજા અને મધ્યાહન પૂજા ના વસ્ત્રો એક ના રાખી શકાય એટલે કે અલગ રાખવા જોઇએ.
૭. મધ્યાહન પૂજા (ચંદન પૂજા) સ્નાન કર્યા વગર કરી શકાય?
- ના સ્નાન કર્યા વગર મધ્યાહન પૂજા (ચંદન પૂજા) ન કરી શકાય.
૮. સ્નાન માટે માથે પણ નાહવું જરૂરી છે?
- ના.
૯. શું ભગવાનની પૂજા (ચંદન પૂજા) કર્યા વગર મોઢામાં પાણી નહીં નાખું એ નિયમ લેવાય?
- ના, ન લેવાય. કારણ કે ભગવાનની આજ્ઞાની વિરૂદ્ધ આ નિયમ છે.
- જેમાં ૭ પ્રકારની શુદ્ધિ કર્યા વગર પ્રભુની પૂજા (ચંદન પૂજા) કરવાથી પ્રભુની આશાતના થાય.
- જેમાં મુખશુદ્ધિનો પણ સમાવેશ થાય છે.
- માટે મુખશુદ્ધિ કર્યા વગર ચંદન પૂજા ન કરાય.
૧૦. તપમાં મુખશુદ્ધિ ન થઇ તો મુખશુદ્ધિ કર્યા વગર ચંદન પૂજા થઇ શકે?
- તપ હોય તો તેને મુખશુદ્ધિ કરવાની જરૂર નથી કારણ કે તપના ઉંચા અનુષ્ઠાનમાં છે.
- આથી તેને દ્રવ્યશુદ્ધિ ગૌણ બને છે.
૧૧. જો કોઇ મુખશુદ્ધિ કર્યા વગર પ્રાત:કાળે ચંદનપૂજા કરે તો તેનું અનુષ્ઠાન કેવું ગણાય?
- શાસ્ત્રમાં સ્પષ્ટ પણે ચંદનપૂજા - મધ્યાહનકાળની જ પૂજાનું વિધાન કરવામાં આવ્યું છે પરંતુ જો કોઇ તેને પોતાની નબળાઇ ન સ્વીકારે અને ઉલ્ટાનું એવું કહે કે વિચારે,
“ગમે તેમ તો પૂજા તો કરૂં છું ને? પ્રાત:કાળે પૂજા તો કરૂ છું ને, પાપ તો નથી કરતો ને?” પાપ કરે તેની અપેક્ષા એ તો સારૂં જ છે ને?
- ટૂંકમાં એને પોતાને જીવનમાં કંઇ વિચારવા જેવું કે સુધારવા જેવું લાગે જ નહીં. જેમ કરતા હોય તેમ જ કર્યા કરે તો આ અનનુષ્ઠાન છે અને આનું ફળ જણાવતા શાસ્ત્રકાર કહે છે કે આવા અનુષ્ઠાનથી માત્ર અને માત્ર કાયકલેશ થાય અને કાયકલેશથી તુચ્છ અકામ નિર્જરા થાય.
- અથવા તો બીજા શબ્દોમાં જ્યાં કરોડ રૂપિયા કમાવવાની સંભાવના હતી ત્યાં માત્ર થોડો ફાયદો થાય.
- જો કોઇ પણ ક્રિયામાં આપણી મનોદશા.. “ઠીક છે, બધુ ચાલે” તો સમજવું કે આપણે હજુ અનનુષ્ઠાનમાં જ છીએ.
- પણ એના બદલે જો પૂજા કરવી પણ પડતી હોય અને પોતાની નબળાઇ માને અને વિધી સુધી પહોંચવાની તમન્ના હોય તો તેની સવારની પૂજા પણ તદ્વેતુ અનુષ્ઠાનની ગણાશે.
- તદ્વેતુમાં વિધિની ક્યાંક ક્યાંક સ્ખલના તો થવાની જ પણ સંપૂર્ણ વિધી સુધી પહોંચવાનું લક્ષ્ય હોય તો તે તદ્વેતુ અનુષ્ઠાન ગણાય.
- જ્યારે અમૃત અનુષ્ઠાન સર્વવિધિ પૂર્વકનું હોય છે.
- જ્યારે અનનુષ્ઠાનમાં તો સંપૂર્ણ વિધિ સુધી પહોંચવાનો ઉત્સાહ જ નથી હોતો. જેમ કરતો હોય તેમ જ કર્યા કરે.
નોંધ: જેઓ ત્રિકાળ પૂજા માં પ્રથમ પૂજા - (પ્રાત:કાળ પૂજા એટલે કે સૂર્યોદય પછી ની - વાસક્ષેપ પૂજા) અને બીજી પૂજા (મધ્યાહનકાળ - ચંદન પૂજા) કરતા હોય તેમણે:
- લધુસ્નાન કરી પ્રાત:કાળે વાસક્ષેપ પૂજા કરવી
- પછી નવકારશી કરવી
- પછી મધ્યાહનકાળે સાત પ્રકારની શુદ્ધિ કર્યા બાદ ચંદન પુજા કરવી.
હવે પછીનાં ભાગમાં આપણે નંદક દરરોજ જિનપૂજા કરતો હોવા છતાં તેનું પુણ્ય તેને ન મળ્યું એ વિશે જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶