ભાગ ૨૦: પ્રભુદર્શન કેવી રીતે કરવા? સ્તુતિના પ્રકાર અને વિવિધ ભાવવાહી સ્તુતિઓ
ભાગ ૧૯માં આપણે દેરાસરમાં ધંટનાદ શા માટે કરવામા આવે છે? એ વિશે જોયું..
પ્રભુદર્શન કેવી રીતે કરવા?
- બે હાથ જોડી અને કમર સુધી નમી, પ્રભુની સમક્ષ દ્રષ્ટિ રાખીને પ્રભુના ગુણો યાદ કરવા પૂર્વક ભગવાનને પ્રણામ કરવા.
- આનાથી “અર્ધાવનત પ્રણામ” વિધિનું પાલન થાય છે.
- અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે કોઇ પણ ચીજનો સહારો લીધા વિના ઉભું રહેવું.
ગભારા પાસે:
- પુરૂષોએ ગભારાના દ્રાર પાસે પ્રભુની જમણી બાજુએ ઉભા રહી પ્રાર્થના-સ્તુતિ કરવી, સ્તુતિ બોલવી.
- સ્ત્રીઓએ ગભારાના દ્રાર પાસે પ્રભુની ડાબી બાજુએ પ્રાર્થના-સ્તુતિ માટે ઉભા રહેવું. તેથી મર્યાદા સચવાય.
- દર્શન-ચૈત્યવંદન કરનાર ને અંતરાય ન થાય તે રીતે પ્રભુની સમક્ષ ઉભું રહેવું જોઇએ.
સ્તુતિના પ્રકાર
- પ્રભુનાં સ્તુતિ-સ્તવનાદિ ચાર પ્રકારે કરવામાં આવે છે :
- ૧. યાંચાઃ પ્રભુ પાસે મોક્ષસુખ આદિની માગણી કરવાની રચનામય સ્તુતિ કરવી તે.
- ૨. ગુણત્કીર્તનઃ પ્રભુના બાહ્ય અને અભ્યંતર ગુણોના વર્ણન સાથે તેમની વાણી અને અતિશયો આદિનું નિરૂપણ કરવું તે.
- ૩. સ્વનિંદા: પોતાની નિંદા પ્રભુ સમીપ કરવી તે. આનું મુખ્ય ઉદાહરણ રત્નાકરપચીશી છે.
- ૪. આત્મસ્વરૂપાનુભવ: પ્રભુ સન્મુખ નિશ્ચય સ્વરૂપથી પિતાનામાં અને પ્રભુમાં કાંઈ પણ અંતર નથી એમ અનુભવ સહિત સબળ આત્મસ્વરૂપના નિરૂપણ સાથે સ્તુતિ કરવી તે.
પ્રભુ સન્મુખ કરાતી વિવિધ ભાવવાહી સ્તુતિઓ
દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ્
દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ્
જે દ્રષ્ટિ પ્રભુ-દર્શન કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે,
જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે,
પીએ મુદા વાણી સુધા, તે કર્ણયુગલને ધન્ય છે,
તુજ નામ-મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે.
દયાસિન્ધુ! દયાસિન્ધુ! દયા કરજે, દયા કરજે,
હવે આ જંજીરોમાંથી, મને જલદી છૂટો કરજે.
નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જ્વાલા,
વરસાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે..
ત્હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ!
મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે વિભુ!
મુક્તિ મંગલ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી,
આપો સમ્યગરત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાય ઘણી.
ક્યારે પ્રભુ ! નીજ દ્વાર ઊભો, બાળને નિહાળશો?
નીત નીત માંગે ભીખ ગુણની, એક ગુણ ક્યારે આપશો ?
શ્રદ્ધા-દીપકની જ્યોત ઝાંખી, જ્વલંત ક્યારે બનાવશો?
સુના સુના અમ જીવનગૃહમાં, આપ ક્યારે પધારશો ?…
રૂપ તારું એવું અદભુત, પલક વિણ જોયા કરું,
નેત્ર તારા નીરખી નીરખી, પા૫ મુજ ધોયા કરું,
હૃદયના શુભ ભાવ પરખી, ભાવના ભાવિત બનું,
ઝંખના એવી મને કે, હું જ તુજ રૂપે બનું.
ક્યારે પ્રભુ! તુજ સ્મરણથી આંખો થકી આંસુ ઝરે,
ક્યારે પ્રભુ! તુજ નામ વદતા વાણી મુજ ગદ ગદ બને;
ક્યારે પ્રભુ ! તુજ નામ શ્રવણે દેહ રોમાંચિત બને, ક્યારે પ્રભુ!
ક્યારે પ્રભુ ! મુજ શ્વાસે શ્વાસે નામ તારું સાંભરે..
જેના ગુણોના સિંધુના બે, બિંદુ પણ જાણું નહીં,
પણ એક શ્રદ્ધા દિલમહિં કે, નાથ સમ કો છે નહીં;
જેના સહારે ક્રોડ તરિયા, મુક્તિ મુજ નિશ્ચય સહિ,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..
દાદા તારી મુખમુદ્રાને, અમીય નજરે નિહાળી રહ્યો,
તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો,
ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો,
તુજ મૂરતિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો.
હવે પછીનાં ભાગમાં આપણે સ્તુતિ અને સ્તવન વિશે તેમજ પૂજા માટેના મુખકોષમાં આઠપડ શા માટે? તે વિશે જોઇશું
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶