ભાગ ૬૯: બીજાઓને સારી શિખામણ આપવાનું કાર્ય સુંદર હોવા છતાં પોતાના માટે તો સ્વાત્માને સરાસર ભૂલવાનું થાય છે.
આગળનાં ભાગમાં આપણે પરદોષ વિશે જોઇ રહ્યા હતા…
આ ભાગમાં આપણે પરદોષ વિશે વધુ જોઇએ…
પરદોષ
કોઇ ભૂલ કાઢે અને એ ગમે એવું બની શકે ખરું?
- કારણ કે સામાન્યરીતે તો એમ કહેવાય છે કે
પ્રાણ પ્રકૃતિ સાથે જાય.
- પરંતુ જૈન શાસન તો એમ કહે છે કે પ્રકૃતિ બદલવી એ જ સાધના છે.
- જો પ્રકૃતિ બદલાવવાની જ ન હોય તો આ બધી આરાધના - સાધના નો મતલબ જ નથી.
આ માટે આપણે એક દ્રષ્ટાંત જોઇએ.
- શ્રીઉત્તરાધ્યયનમાં વાત આવે છે, ચાર પ્રત્યેકબુદ્ધને કેવળજ્ઞાન પામતા પૂર્વે ભૂલ કાઢી એ ગમી છે.
- એક મંદિરમાં ચાર દિશામાંથી ચાર સાધક પ્રવેશ્યા.
એમાં કરકંડુના કાનમાં બીજા રાજર્ષિએ સળી જોઈ એટલે એમણે કહ્યું
અરે! તમે રાજ્ય છોડ્યું, અપાર ધન-વૈભવ છોડ્યો અને એક સળી તમારાથી ન છુટી?
ત્યારે ત્રીજા મહાત્મા બોલ્યા કે,
ભાઈ! એમણે આટલું છોડ્યું? એ તમને ન દેખાયું અને એક દોષ જ દેખાયો?
આ બીજા-ત્રીજાનો વાર્તાલાપ સાંભળી ચોથા મહાત્માથી ન રહેવાયું, એમણે ત્રીજાને કહ્યું
એ બંનેની ભૂલ તો બરાબર. તે દોષ જોવાનું ન છોડ્યું?
- આ ત્રણેયનો વાર્તાલાપ ચાલતો હતો,
એ સાંભળીને કરકંડુરાજર્ષિએ કહ્યું,
તમારો કોઈનો દોષ નથી. તમારી કોઈની ભૂલ નથી. ભૂલ મારી છે. આખો સંસાર છોડ્યો, સળી ન છોડી.
- એમણે દોષ નથી જોયો, ભૂલ કાઢી, પણ મને બચાવી લીધો.
- તેમની આવી ઉત્તમ મનોદશા જોઈ ત્રણે ત્રણને પોતાની ભૂલ સમજાઈ અને કહ્યું: ભૂલ તમારી નથી, અમારી છે. તમે અમને બચાવી લીધા.
દરેકને પોતપોતાની ભૂલ સમજાય પછી શું થાય?
કેવળજ્ઞાન!
બીજાઓને સારી શિખામણ આપવાનું કાર્ય સુંદર હોવા છતાં પોતાના માટે તો સ્વાત્માને સરાસર ભૂલવાનું થાય છે, એ મોટું નુકસાન છે.
- પોતાના આત્મા પર દ્રષ્ટિ જ નહિ, એમાં કયા કયા નાના મોટા દોષ, ખામી, વાસના-વિકારો ઊછળી રહ્યા છે એનો ખ્યાલ નહિ.
- હવે એને દૂર કરવા કયા કયા ઉપાય યોજવા… વગેરેનો વિચાર જ નહિ, એ તો એક જાતની નાસ્તિકતા થઈ.
નાસ્તિક બે જાતના
- (૧) એક ઉઘાડા નાસ્તિક:
- જે સાફ ના પાડે કે,
આત્મા નથી, પરલોક નથી, પુણ્ય-પાપ જેવી વસ્તુ નથી;
- જે સાફ ના પાડે કે,
- (૨) બીજા ગુપ્ત નાસ્તિક:
- જે મોંઢેથી તો કહે કે,
હું આત્મા-પરલોક-પુણ્યપાપ માનું છું.
- પરંતુ એના આચરણમાં સ્વાત્માની કોઈ ચિંતા જ ન દેખાતી હોય, બીજા શું કરે છે, ત્રીજા શું કરે છે, પેલા ભૂલ કરે છે વગેરે વિચારણા હોય. આ છૂપા નાસ્તિક છે..
- જે મોંઢેથી તો કહે કે,
- માધ્યસ્થ ભાવના ગુમાવી આનું ને તેનું જોયા કરવામાં ગુપ્ત નાસ્તિકતા પોષાવાનું ભયંકર નુકસાન ઊભું થાય છે.
- આનાથી બચવા માટે માધ્યસ્થ ભાવના કેળવવાની છે, બીજાનું કાંઇક નરસું દેખાઈ જતાં એની પ્રત્યે ઉપેક્ષા કરવાની, એનો વિચાર જ બંધ કરી દેવાનો. આ થોડું પણ કરાય, તો એટલા અંશે સ્વાત્માને સંભાળવાનો અવકાશ પ્રાપ્ત થાય.
બીજાના ક્રોધ-કષાયનો વિચાર કરીએ અને એ આત્મહિતનો ઘાતક છે એમ સમજીએ તો પોતાના ક્રોધ-અભિમાન-માયા વગેરેનો વિચાર આવે છે? ખટકે છે?
- જેને પોતાના આત્માનો વિચાર છે, પોતાના આત્મહિતની ચિંતા છે એને ખરેખર તો બીજામાં માથુ મારવાની ફુરસદ જ હોતી નથી.
- વ્યક્તિ પ્રત્યેની ઇર્ષા એની ખામી શોધાવે છે, અથવા તો અહંકારથી પ્રેરાયને આવું થતુ હોય છે.
બીજાના દોષ જોવા જતા પરદોષ જોવાની કુટેવ પડી જાય તો અધમ ગીધડાની વૃતિ ઊભી થશે.
ગીધડા શું કરે છે?
મેલું ક્યાં પડ્યું?
માંસ-મડદું ક્યા પડ્યું?
આ આદત થઇ જાય છે.
સારું કશું ક્યાં પડ્યું એ જોવાની વૃતિ જ નહીં
- બે મિનિટની પ્રભુદર્શનની ક્રિયામાં પણ સ્વદર્શનની સ્થિરતા નહીં અને એ ફક્ત જો ૫-૧૦ સેકન્ડ રહે અને બાકીની સેકન્ડ પરદોષ જોવામાં રહે તો સ્વનું-આત્માનું કેટલું વિચારવું?
બીજાના દોષ જોવાની દ્રષ્ટિમાં સ્વનું શું થાય છે એ અંગે આપણે આગળના ભાગમાં અઈમુત્તા મુનિનું દ્રષ્ટાંત જોઇએ.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶