લીલોતરીનો ત્યાગ શા માટે?
પર્વતિથી ના દિવસે આપણે લીલા શાકભાજીનો ત્યાગ કરવો જોઇએ તે વિશે મેસેજ તો અમે દરેક તિથીએ મોકલીએ છીએ અને આપણે બધા ત્યાગ કરતા હશું જ. પરંતુ શું આપણે જાણીએ છીએ કે લીલોતરીનો ત્યાગ શા માટે કરવાનો હોય છે?
કેટલાક બુદ્ધિજીવી વર્ગ એવું કહે છે, “પર્વતિથીના દિવસોમાં સૂર્યોદય નથી થતો કે જેથી અમૂક દિવસે અમૂક ખાવું અને અમુક ન ખાવું એવો ભેદ કરો છો. કુદરતે જે વસ્તુમાં ભેદ નથી કર્યો, તે વસ્તુમાં માનવીએ શા માટે ભેદ કરવો? સૂર્ય માટે તેરસ અને ચૌદશ બંન્ને સરખા છે, તો એક દિવસે લીલોતરી ખાવી અને એક દિવસે ના ખાવી એવું શા માટે?”
ધર્મની દ્રષ્ટિએ:
-
જૈન શાસનને સમજનાર તો એ જ વિચારે છે કે મારા પ્રભુએ શું કીધુ છે? અને તેનું શ્રદ્ધા પૂર્વક પાલન કરવું.
-
અન્ય દિવસો એ આપણે પાપનું સેવન કરીએ તો એનો અર્થ એવો શા માટે કરવો કે દરેક દિવસ પાપનું સેવન કરવું. પાપથી તો જેટલુ બચાય તેટલું સારુ.
-
શ્રાવક વનસ્પતિનો વધારે પ્રમાણમાં ત્યાગ કરે છે. કારણ કે વનસ્પતિનું જીવત્વ વિશેષ રૂપથી સંવેદનશીલ હોય છે. તેમાં સુખદુઃખનું સંવેદના વધુ હોય છે. આ દ્રષ્ટિએ જૈન-સમાજમાં, લોકો પર્વતિથિને દિવસે શાકભાજીનો ત્યાગ કરે છે. જે લોકો એની મૂળભૂત ભાવનાને સમજતા નથી, તેઓ એ ત્યાગ ભાવનાની મશ્કરી કરે છે. આજની દુનિયામાં મનુષ્યનો જીવત્વ પ્રતિ પ્રેમ નહીંવત થઇ ગયો છે. અને એટલે જ હિંસા જન્ય પદાર્થ ભોજનમા આવવા લાગ્યા છે
-
જૈન ધર્મ ખાન-પાનની બાબતમાં ખુબ જ ચોક્કસાઇ અને ભાર મુકે છે કારણ કે ખાન-પાનની ચોક્કસ અસરો વિચારો ઉપર પડે છે, વિચાર પછી, વર્તનમાં, વ્યવ્હારમાં ઉતરતા જાય છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ:
-
ચંદ્ર અને પૃથ્વી વચ્ચે સારો એવો સંબંધ છે. પૃથ્વી ઉપરના પાણી ઉપર ચંદ્રની વિશેષ અસર પડે છે, ચંદ્રની વધ-ઘટ સાથે ભરતી અને ઓટનો સમય પણ બદલાતો રહે છે.
-
ચંદ્રના પરિભ્રમણ નો વિચાર કરીએ તો સુદ અને વદના પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, પૂનમ અને અમાસના દિવસોએ ચંદ્ર, પૃથ્વી અને શરીર ત્રણે સીધી લાઇનમાં આવી જાય છે એ સમયે દરિયાના પાણીમાં અને શરીર માં રહેલ પાણીમાં ફેરફાર થાય છે. શરીરમાં પાણીનું તત્વ વધે છે, અગ્નિ તત્વ મંદ થાય છે, વાયુ તત્વ વધે છે અને તે મગજમાં ચઢે છે તેના લીધે શરદી, સળેખમ, એલર્જી વગેરે થવાની પૂરી સંભાવના રહે છે. ક્યારેક ક્યારેક તો માણસની વૃતિઓ વકરે છે. અમેરીકા ના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યુ છે મન-મગજની બિમારીઓ ઉપર ચંદ્રની સીધી અસર હોય છે. આ વૈજ્ઞાનિક કારણોને લીધે પર્વતિથિના દિવસોએ એકાસણું, ઉપવાસ, આદિ તપ કરવાનું, ઓછુ ખાવાનું કહ્યું છે. પર્વતિથિના દિવસોમાં જે લીલા શાકભાજીમાં ૯૦% પાણી તત્વો હોય તેવા શાકભાજી નહીં ખાવા જોઇએ, એથી શરીરમાં રહેલ જળતત્વોને કાબુમાં રાખી શકાય. માટે જૈનો પ્રભુ આજ્ઞા મુજબ તે દિવસે કઠોળ ખાતા હોય છે. કઠોળ સુકુ હોવાથી બ્લોટીંગ જેવું કામ કરી વધારાનું પાણી ચુસી લે છે.
-
આવુ ચોમાસાના દિવસોમાં પણ બને છે, વરસાદની સાથે અગ્નિતત્વ મંદ થવાથી શરીરમાં પાણીનો સંચય વધે છે આથી એ દિવસોમાં પણ લીલા શાકભાજી નહીં ખાવા જોઇએ તેમ જૈન ધર્મ સ્પષ્ટ કહે છે.
સર્વજ્ઞ ભગવંતોએ પર્વતિથીના દિવસોમાં જ સામન્યત: આગામી આયુષ્યનો બંધ પડતો હોવાનું જણાવ્યું છે. આથી એ દિવસો માં ધર્મ વધુ થાય અને શકય એટલું રાગાદિનું તોફાન શાંત રહે તે રીતે અવશ્ય રહેવું જોઇએ. જેથી સદગતિનું આયુષ્ય બંધાય. લીલોતરીના સેવનમાં રાગ વધુ થાય છે, તે સર્વ જાણે છે, કેળા, કેરી, ફળ, ઇત્યાદિ લીલોતરી જ છે.
હવે પ્રશ્ન એ છે કે મગ ખાવા કરતા પાકા કેળા ખાવામાં ઓછી હિંસા નહીં? કેમ કે મગના તો દાણે દાણે જીવ છે. મગના દાણે દાણે જીવ છે એ વાત તદન સાચી છે છતાં એના સેવનમાં એવી રસવૃતિ પોષાતી નથી જ્યારે લીલોતરી-પાકા કાળા માં ઓછી હત્યા હોવા છતા તેમાં રાગ ખુબ પ્રમાણમાં પોષાય છે. જૈન શાસનમાં સૌથી મોટું પાપ રાગ-દ્રેષ નું સેવન છે. ઓછી જીવ હત્યા છતાં જો રાગનું સેવન વધુ થતું હોય તો તે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
હવે પ્રશ્ન એ થાય કે, પર્વતિથીના દિવસે લીલોતરી । ફળ ન ખવાય તો શ્રી પરમાત્માની પૂજામાં ફળો મુકી શકાય? પરમાત્માના પૂજનમાં ફળો મુકવાથી એ વસ્તુઓનો પરિત્યાગ કરવા દ્રારા આસક્તિને ઘટાડવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ તે ત્યાગ-ભક્તિથી જિન ભક્તિમાં ચિત્ત ઉછાળા મારે છે અને ખુબ જ આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરે છે. માટે લીલોતરી અને ફળ ખાવાનો નિષેધ કર્યો છે પરંતુ પૂજનમાં મુકવાનો નહીં.
હવે પ્રશ્ન એ છે કે, પર્વતિથીએ લીલોતરી અને ફળ ના ખવાય તો મીઠાઇ ખવાય? ના, ન જ ખવાય. જે-જે દ્રવ્યો આસક્તિ પોષતા હોય તે એકેય ના ખવાય. આથીજ લીલોતરી ત્યાગની સાથે, દ્રવ્ય ત્યાગ અને રસ ત્યાગની સ્પષ્ટ આજ્ઞા શાસ્ત્રમાં જોવા મળે છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶