🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૯૭: કેટલા બધા ઊંચા પુણ્યે પંચેન્દ્રિયપણું મળ્યું ! એમાં ય મનુષ્યપણું! એમાંય આર્યપણું ! એમાં ય જૈનપણું !

આગળના ભાગમાં આપણે ગુરુવિનય-બહુમાનથી સમજશક્તિ વધે એ અંગેનું બ્રાહ્મણ વિધાર્થીનું દ્રષ્ટાંત જોયું…

હ​વે આગળ,

આજ્ઞા


(૭) શ્રોતાનું સારું જાણકારપણું:

  • વક્તા જે જે કહે એનું જાણકારપણું આવવું જોઈએ, જો આ ગુણ ન હોય, તો વક્તાએ હમણાં સુધી કહેલી વસ્તુની જાણકારીના અભાવે, હવે એ વક્તા પૂર્વોક્ત વસ્તુના અનુસંધાનમાં જે વસ્તુ કહેશે, તે શ્રોતાના સમજમાં નહીં આવે યા વક્તાનો આશય કાંઈ હશે, અને પોતે બીજો જ આશય લગાવશે.
  • માટે શ્રવણ વખતે કરવા જેવું આ છે કે જેટલું જેટલું સાંભળતા જઈએ, એટલા એટલાની મનમાં જાણકારી ફિક્સ થઈ જાય, ચોક્કસ થઈ જાય.
  • વ્યાખ્યાનના શ્રોતા બન્યા રહેવામાં મહિનાઓ ને વર્ષો વીત્યા પછી પણ એ સાંભળેલાની જાણકારી કેટલી આવી ? વર્ષોના શ્રવણ પછી પણ સારું જાણકારપણું નહિ, એ કેટલી કંગાલ દશા!

(૮) ઉદ્યોગ:​

  • અર્થાત શ્રોતા એ સાંભળીને સમજશક્તિ દ્વારા સમજાયેલાની યાદ રહે એ માટે પ્રયત્ન કર​વો જોઈએ.
  • એ પ્રયત્ન ધારણ કરવાનો અને પુનઃ પુનઃ સ્મરણ ચિંતન કરવાનો હોય,

  • સાંભળવાનું શરૂ કર્યું, તો કયા વિષયથી શરૂ થયું, પહેલાં એને ન પર લઈ લેવાય એમાં દાખલા-દલીલ અને લાભાલાભ બતાવ્યા હોય એ પણ લક્ષમાં લેવાના, પછી વક્તા પ્રાસંગિક વિષય પર ઊતરી જાય અગર ક્રમસર બીજો વિષય ઉપાડે, ત્યાં એની મનમાં પૂર્વના વિષય સાથે કડી જોડી લક્ષમાં લેવાય.
  • જેમ જેમ આગળ શ્રવણ વધે, તેમ તેમ પૂર્વના મુખ્ય મુખ્ય વિષયો કડીબદ્ધ મનમાં અવગાહતા રહેવું.

(૯) નિંદ્રાનો ત્યાગ

  • શ્રવણ કરતી વખતે ઝોકાં ખાય, તો સાંભળતાં સરખું ન સમજી શકે કે ન એની ધારણા કરી શકે.
  • ઝોકાં કેમ આવે છે ?
    • શ્રવણનો કે વ્યાખ્યાનના વિષયનો રસ નથી માટે ઝોકાં આવે છે.
    • ઝોકાં ન આવે એ માટે રસ ઊભો કર​વો જોઈએ. જીવને સમજાવી દેવું કે,

દુનિયાનું પાપનું તો ઘણું ય સાંભળ્યું ને હજી ય સાંભળી રહ્યા છીએ.
અરે ! નકામી કુથલી ય કેટલી સાંભળી?
પણ એમાં આપણું શું ભલું થયું ? કે થશે ?
કેટલા બધા ઊંચા પુણ્યે શ્રોત્રેન્દ્રિય સહિત પંચેન્દ્રિયપણું મળ્યું !
એમાં ય મનુષ્યપણું !
એમાંય આર્યપણું !
એમાં ય જૈનપણું !
કેટકેટલા અનંત અનંત પુણ્યના ઉદય થવા પર આ બધું મળ્યું !
તો - આ જૈન દેહની મહાકિંમતી શ્રોત્રેન્દ્રિયનો અહીં આ ધર્મ-શ્રવણમાં સદુપયોગ નહીં કરીએ તો એ કેવી વેડફાઈ જશે?

(૧૦) સદબુદ્ધિ:

  • સદબુદ્ધિમાં અનેક ભાવ છે,
    • વક્તા પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ન રાખતાં શ્રવણથી વસ્તુને સીધા રૂપે લે, સરળપણે તત્વ ગ્રહણ કરે
    • વક્તાના આશયને સમજે,
    • પ્રવચનના પદાર્થોમાં પૂર્વાપરનો સંબંધ ખ્યાલમાં રાખે;
    • પોતે તત્વ પામવાના અને કર્મક્ષય કરવાના નિર્મળ આશયથી સાંભળે.
  • કોઈના તરફ રાગ હોય તો એની અસર નીચે આ વક્તાનું કથન એને રુચશે જ નહિ.

મોટા ગણધર ગૌતમસ્વામી જગદગુરુ મહાવીર ભગવાનના આદેશથી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા ગયા તે અંગે આપણે દ્રષ્ટાંત હ​વે પછીના ભાગમાં જોઇએ…




શેર કર​વા નીચે ક્લિક કરો