ભાગ ૧૦૧: દેવને એક નવકારશી કરવી હોય તો પણ પોતાના મનને તે કેળવી ન શકે.
આગળના ભાગમાં આપણે માનવ ભવની દુર્લભતા વિશે જોઇ રહ્યા હતા… અને જાણ્યું કે એક મનુષ્ય ભવ જ એવો છે કે જો એ ધારે તો પોતાના આત્મ સંબંધી સાચા સુખને પુરુષાર્થ દ્વારા પામી શકે.
હવે આગળ,
આજ્ઞા
- પણ આશ્ચર્યની વાત તો એ છે કે આપણે દુર્લભ એવા મનુષ્યભવને પામીનેય દેવલોક માંગીએ છીએ….
જ્યારે અનુત્તરવિમાનવાસી દેવો પ્રતિક્ષણ મનુષ્યભવને ઇચ્છે છે આવું કેમ ?
કારણ કે ભગવાને કહ્યું છે કે,
અનુત્તરવિમાનવાસી જે સુખ ભોગવે તેના કરતાં વિશેષ સુખ સાધુ ભોગવતો હોય…
- પરંતુ આપણને એવી સાચી સમજ નથી, માટે ધર્મ કરીનેય દેવલોકનું સુખ મેળવવાની ઈચ્છા થાય છે પણ સાધુપણું પામવાની ઇચ્છા થતી નથી.
- એક મનુષ્યભવમાં જ સાધુપણું પામી શકાય છે માટે દેવો પણ સતત આ ભવને ઝંખે છે.
જેની સેવામાં હજારો દેવો ખડે પગે હાજર હોય…
-
જે બત્રીસ લાખ વિમાનનો સ્વામી હોય તેની સભા ભરાતી હશે ત્યારે તેનો શું ઠાઠ હશે! તેની કેવી જાહોજલાલી હશે?
-
એક સુઘોષા ઘંટ વાગે એટલે તેની આજ્ઞાથી વિના વિકલ્પ, વિના આર્ગ્યુમેન્ટે હજારો દેવો પોતાનું સુખ કે પોતાની ક્રિડા છોડીને હાજર થતાં હોય એવો સૌધર્મેન્દ્ર પણ વિચારે શું? ક્યારે અહીંથી મરૂં ને મનુષ્ય થાઉં…
એ ત્રણ જ્ઞાનનો ધણી છે
- માટે પોતાના જ્ઞાનમાં જોઈ શકે છે કે – સાચું સુખ મેળવવાની તાકાત તો માનવભવમાં જ છે.
- દેવલોકમાં કલ્પનાતીત સુખ છે ખરું, પણ તે ભ્રામિક છે, તુચ્છ છે માટે તેમા કાંઇ મજા નહીં ! કોઈ દમ નહીં…
દેવ કરતાં મનુષ્ય પાસે મનની શક્તિ વધારે છે અને મનુષ્ય કરતાં દેવમાં શરીરાદિની શક્તિ વધારે હોય છે.
- પણ એક અપેક્ષા શરીરની શક્તિ કરતાં મનની શક્તિ ચઢી જાય.
- મનુષ્ય જેવું પોતાના મનને કેળવી શકે તેવું દેવ પોતાના મનને કેળવી ન શકે.
શાસ્ત્રમાં કહ્યું છે કે
દેવને એક નવકારશી કરવી હોય તો પણ પોતાના મનને તે કેળવી ન શકે.
- રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવાનું કાર્ય દેવો તો કરી ન શકે પણ દેવોના સ્વામી એવા દેવેન્દ્ર પણ કરી ન શકે.
- એ કામ તો એક મનુષ્ય જ કરી શકે માટે જ જ્ઞાનીઓએ મનુષ્યભવને દુર્લભ કહ્યો છે…
- રાગ-દ્વેષ નબળા પાડવા માટેનો ભવ એક મનુષ્ય ભવ જ છે એ ભવ અનંતાનંતકાળની વચ્ચે કેટલીવાર મળે? અને મળે તો તેનું આયુષ્ય કેટલું ?
શાસ્ત્રકારો કહે છે
કુસગ્ગ જલબિંદુ ચંચલે…
- ઘાસના અગ્રભાગ પર રહેલું પાણીનું બિંદુ કેટલો કાળ ટકે !
તેમ આપણું ય આયુષ્ય ચંચળ છે, ક્ષણિક છે…
આયુષ્ય પુરૂં થાય પછી ક્યાં જવાનું ?
- પલ્યોપમ અને સાગરોપમના અસંખ્યવર્ષવાળા ભવમાં ને ?
પલ્યોપમ અને સાગરોપમ કોને કહેવાય.?
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶