લીંબુનાં ફૂલની બનાવટ મહાહિંસક છે, તેનો ઉપયોગ ટાળો.
આગળના ભાગમાં આપણે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે લેવાની કાળજી વિશે જોયું…
હવે આગળ,
D - જયણા
રસોડાની જયણા
- ખાદ્યપદાર્થનાં વાસણો ખુલ્લા ન રાખો.
- ગેસ સ્ટવ વગેરે પેટાવતાં પહેલાં પૂંજણીથી બરાબર પૂંજી લો.
- સૂર્યોદય પહેલા ચૂલો પેટાવવો નહીં તેમજ સૂર્યાસ્ત પછી ચૂલો પેટાવવો નહીં, ચાલુ રાખવો નહીં.
- રસોઈ બનાવતાં પહેલાં લોટ ધાન્ય ચાળી લો, બરાબર જોઈ લો.
- ખાલી વાસણો ઊંધા કે આડા મૂકી રાખો, જેથી જીવાત તેમાં પડીને ગુંગળાઈ ન જાય.
- ખાદ્યપદાર્થ નીચે ઢોળાય કે વેરાય નહિ તેની કાળજી રાખો. ઢોળાય તો તરત સાફ કરો.
- ખાંડ ને - દૂધ ચા વગેરેમાં નાંખતાં પહેલાં રકાબીમાં પહોળી કરીને બરાબર જોઈ લો. તેમાં કીડી કે અન્ય જંતુ તો નથી ને!
- રસોડાના ચૂલા ઉપર લાઈટની આસપાસ ઊડતી જીવાત ચૂલા પર કે તપેલીમાં પડે તો મરી જાય તેથી તેનું ધ્યાન રાખવું
- સૂકવણીના શાક (સૂકવેલી ગવાર, મેથી, વાલોર વગેરે) માં ઘણી જીવાત થઈ જાય છે.
- તેથી, ચોમાસામાં સૂકવણીના શાક બીલકુલ ન વાપરવા.
- અન્ય ઋતુમાં પણ બરાબર તપાસ્યા પહેલાં અને ચાળ્યા વગર તેનો ઉપયોગ ન કરવો.
- પર્વતિથીના દિવસે કે ઉપધાન વગેરેમાં આંબોળીયાનું શાક ખાસ વાપરવામાં આવે છે. તેનાં પોલાણમાં જીવાત થઈ જાય છે. તેથી ઝીણા ટુકડા કરીને બારીકાઈથી બરાબર જોઈ લીધા પહેલાં આંબોળીયાનો ઉપયોગ ન કરવો.
- સાંજે રસોડું આટોપાઈ જાય એટલે ગેસના બર્નર ઉપર કપડું બાંધી દેવું જોઈએ જેથી બર્નરના કાણામાં કોઈ જીવાત પેસી ન જાય. સવારે પૂંજણીથી પૂંજવાથી ઉપર ફરતી જીવાતોની જયણા થાય પણ કાણામાં ઘુસી ગયેલી જીવાતનું શું તેથી કપડું બાંધવું એ જયણાની ઉત્તમ પ્રક્રિયા છે.
- પૌંઆ અને મમરામાં પુષ્કળ જીવાત થવાની સંભાવના છે તેથી તે બન્નેનો ઉપયોગ કરતાં પૂર્વે ચાળણીથી બરાબર ચાળી લેવા અને બારીકાઈથી તપાસી લેવા.
- લોટ નો ઉપયોગ કરતા પૂર્વે લોટને ચાળી લેવો.
- દિવસે વાપરેલા પાણી કે રસોઈના વાસણો મંજાઈ કે ધોવાઈ ગયા પછી કોરા કપડાથી લૂછી યોગ્ય ઠેકાણે ઊંધા મૂકી દેવા જોઈએ. તે વાસણ ભીનાં રહેવા ન જોઈએ.
- લીંબુનાં ફૂલ ની બનાવટ મહાહિંસક છે. તેનો ઉપયોગ ટાળો.
- સીંગદાણા, ચણા, કીસમીસ વગેરે ચાળીને અને વીણીને જ વાપરવા જોઈએ.
- બળતણ માટેના લાકડા, કોલસા પૂંજીને જમીન ઉપર ઠપકારીને પછી જ વાપરવા જોઈએ, જમીન ઉપર ઠપકારવાથી અંદર પોલાણમાં ભરાયેલી જીવાત બહાર નીકળી જાય છે. કોલસાને વાપરતા પહેલા ચાળણીથી ચાળી લેવા જોઈએ.
- અનાજ લોટ વગેરે ચાળવા માટે અલગ અલગ ચારણા ચારણી ઘરમાં હોવા જોઈએ અને તેનો નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય:
- ઘઉંનો ચારણો ઘઉં, પૌંઆ, મમરા, દાળીયા, શીંગ, આખી સૂંઠ, ગંઠોડા, મોટા કઠોળ વગેરે ચાળવા માટે.
- ચોખાનો ચારણો મગ, ચોખા, જીરું, મેથી વગેરે નાના દાણા માટે
- લોટની ચારણી મસાલાના પાવડર તથા લોટ ચાળી શકાય.
- મેંદાની ચારણી આમચુર વગેરે બારીક મસાલા (અલગ અલગ ચારણા રાખવાની માથાકૂટ ટાળવા અલગ અલગ જાળીવાળા ચારણા પણ બજારમાં મળે છે, પરંતુ તેમાં નવી જાળી નાખતા પૂર્વે આખી ચાળણી વ્યવસ્થિત સાફ કરવી, જેથી દ્વિદળનો પ્રશ્ન ન રહે. )
- ભાતના ઓસામણ નો ઠંડુ પડતા પૂર્વે નિકાલ ના કરવો.
- તવી-તાવડા ઉપર કામ પતી ગયા પછી થાળી છીબું ઢાંકવું જોઈએ.
- જમ્યા પછી એંઠા વાસણ ખૂલ્લા ન મૂકવાં. કોઈ પણ રાંધેલી વસ્તુ તથા ચટણી વગેરે આજનું કાલે ફ્રીઝમાં મૂકેલું પણ ચાલે નહીં.
- દૂધની કોથળી વગેરે પ્લાસ્ટિકની થેલીમાં ચીકાશ હોવાથી બીજે દિવસે ફૂગ થાય છે. દૂધની કોથળી ઊંધી કરીને ધોઈ નાંખવી અને કોરી કરવી.
- રસોડાનું પ્લેટફોર્મ, ફલોરિંગ લાઈટ કલરનું રાખવું જેથી જીવાત જોઈ શકાય.
- રસોડાનું મસોતું પણ મોટા વાટકામાં રાખવું જેથી જીવાત જોઈ શકાય.
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶