ભાગ ૪૧: ધર્મક્રિયામાં આદર પણ ખુબ જ જરૂરી છે...
આગળના ભાગમાં આપણે જોયું માત્ર ભકિત જ નહીં પણ ભકિતની જેમ પ્રભુ બહુમાન પણ ખુબ જ અગત્યનું છે…
આ ભાગમાં આપણે બહુમાન તેમજ આદર વિશે જોઇએ…
૧૮B. ધર્મક્રિયામાં આદર પણ જરૂરી છે...
- આદર માટે ૩ વસ્તુ જોઇએ…
- બહુમાન
- વિધી
- ઔચિત્ય
- સંસારીક ક્રિયા જેવી કે, ધરમાં કોઇના લગ્ન હોય તો કેટલી બધી ક્રિયાઓ કરવામાં આવે છે, એટલું જ નહીં પણ તન, મન અને ધનનો વ્યય કરીને, કષ્ટ ઉઠાવીને, ક્રિયા કરવામાં આવે છે.
- આંગણે આવેલાઓને કેવો સ્નેહ અને બહુમાન! એટલું જ નહીં પરંતુ જો કોઇ સગા-સબંધી રીસાઇ ગયા હોય તો પણ તેમને મનામણા કેવા? રાતોના રાત ઉજાગરા, ભારે કપડા, ભારે ઠાઠમાઠ, ભારે મંડપ-ડેકોરેશન, રીસેપ્સન આદિ અને ભારે જમણખર્ચ અને આ બધામાં જીવનનો એક લહાવો માનવામાં આવે. ધર્મક્રિયામાં આપણે આવું બહુમાન કરીએ છીએ ખરા? કે પછી બહુ ખર્ચ થઇ ગયો કે ઘણુ બધુ કષ્ટ પડ્યું તેમ બોલીએ છીએ.
બહુમાન:
- બહુમાન એટલે સંસારની ક્રિયા કરતા ધર્મક્રિયા ઉપર અધિક માન…
ધર્મ બહુમાનનાં ૫ અંગ
- ધર્મ કથાનો પ્રેમ - જે ધાર્મિક ક્રિયા કરતા હોય તેની ચર્ચા સાંભળવી બહુ ગમે.. ધર્મ ઉપર બહુમાનથી ધર્મ, ધર્મદાતા ગુરૂઓ, તીર્થંકર દેવો, ધર્મ સ્થાનો વગેરે ઉપર અથાગ બહુમાન, પ્રેમ, સેવાભાવ વગેરે જાગૃત થાય છે. જો એના બદલે ધર્મ અંગેની વાત સાંભળતા મોં બગડે તો માનવુ કે એના અંતરમાં ધર્મ અંગે બહુમાન નથી.
- ધર્મ નિંદાનું અશ્રવણ - ધર્મ ક્રિયાની નિંદા ન ગમે, ન તો પોતે કોઇની ધર્મ ક્રિયા નિંદે કે ન પોતે નિંદા સાંભળે ધર્મ નિંદાની વાત ચાલતી હોય, તેને બને તો અટકાવવી, અગર ચતુરાઇથી ધર્મની પ્રશંસામાં ફેરવી નાખવી. એ શક્ય ન હોય તો છેવટે સ્વયં ત્યાંથી ખસી જવું જોઇએ.
-
નિંદકની દયા - નિંદા કરનાર પ્રત્યે દયા ઉપજે
- વિશેષ જીજ્ઞાસા - ધર્મ ક્રિયા અંગે વિશેષ જાણવાની ઇચ્છા થાય
- ધર્મમાં જ ચિત - પત્નીને પરદેશ ગયેલા પતિના વારે વારે વિચારો આવે છે, પોતે જમે તો એમનું જમવાનું યાદ આવે છે કારણ કે પતિ ઉપર બહુમાન છે. તેમ ધર્મ ઉપર બહુમાન હોય તો ધર્મના વિચાર વારંવાર આવ્યા જ કરે. ધર્મમાં ચિત્ત વારંવાર જાય. મન બીજેથી ખસી ધર્મમાં લીન થાય.. કાયા સંસાર પ્રવૃતિમાં જાય તોય, મન તો ધર્મ મા રમતું હોય, ક્રિયા ખાવાની ચાલે અને મન તપની ક્રિયામાં રમતું હોય… પ્રવૃતિ ધન લેવાની ચાલે પણ વિચાર દાનનો ચાલતો હોય
આમ ક્રિયા - એકાગ્રતા, પ્રણિધાન અને અનુમોદનાથી કરવી જોઇએ…
વિધી:
-
વિધી વિશે આપણે અગાઉ વિસ્તાર થી જોઇ ગયા છીએ…
ઔચિત્ય:
- ઔચિત્ય જાળવવાથી ધર્મ પ્રવૃતિ લોકમાન્ય બને છે…
ઔચિત્ય માટે શું જોઇએ?
- બધા સાથે પ્રેમાળ વાણીવર્તન: આત્મા ધર્મનો અધિકારી તો બને જો એનામાં ઉચિતવૃતિ હોય. ઉચિતવૃતિ છે કે નહીં તે માટે જોવું કે આત્મા લોકપ્રિય છે કે નહીં દરેક પ્રસંગમાં તેની વિવેકી વાત, વિવેકી વ્યવહાર અને શુદ્ધ લેવડ-દેવડ વગેરે બધું જ ઉચિત હોય, જેમ કે મિત્રને સાચવે પણ ભાઇની ખબર પણ ન લે એવુ પણ ન બને. આમ બધા સાથે બરાબર યોગ્ય વર્તાવ રાખે એટલે કે એમાં લોકપ્રિયતાનો ગુણ આવી જાય. લોકપ્રિય એટલે લોકોના દિલમાં વસી ગયો હોય, કોઇ પીઠ પાછળ પણ તેની નિંદા ન કરે. અને આ લોકપ્રિયતા ગુણસંપન્ન બને ત્યારે આવે.
- અનિંદ્ય વેપાર: દુરાચારની પ્રવૃતિ, જૂઠ, ચોરોનો માલ સંઘરી એના ઉપર ધંધો કરવાનું કામ, જુગાર, શિકાર વગેરે પ્રવૃતિ નિંદ્ય છે. ધર્મક્રિયા વાળો નિંદ્ય પ્રવૃતિનો વિચાર સરખો પણ ન કરે. નિંદ્ય પ્રવૃતિથી પાપ વધે છે અને ધર્મની તક ગુમાવાય છે.
- આપતિમા ધૈર્ય: આપતિમાં મનુષ્ય હાયવોય અને શોક કરે તો દુર્ધ્યાનમાં પડે છે અને અનેક પાપકર્મોનું ઉપાર્જન કરે છે. માટે આપતિમાં ધૈર્ય રાખવું જોઇએ. આપણે જેમ સગવડ ભોગવવીએ છીએ તેમ આપતિ પણ ભોગવતા આવડવી જોઇએ. જેવી રીતે સોનું ભડભડ બળતા અગ્નિમાંથી પસાર થતા શુદ્ધ અને તેજસ્વી બને છે તેવી રીતે આપતિમાં પાસ થવાથી આત્માની શુદ્ધિ વધે છે, તેજ વધે છે.
- ત્યાગ-તપ: એનામાં દાનવૃતિ કેવી છે? ઉદારતા, કૃતજ્ઞતા, દુ:ખી જીવો ઉપર દયાવૃતિ અને ગુણવાન તથા શુદ્ધ ચારિત્રપાત્ર પ્રત્યે પુજ્ય ભાવ હોય છે.
-
ધર્મમાં સારૂ લક્ષ્ય: જે હાથમાં લક્ષ્ય નહીં હોય તે ધર્મક્રિયા ભલે ઉપાડે પણ ક્રિયા કરતા કરતા મૂળ ઉદેશ તરફ દ્રષ્ટિ નહીં રાખે એટલે કે વેઠ પણ ઉતારે અને જો લક્ષ્ય જિનાજ્ઞા ને ચુસ્ત વળગી રહે અને એને અનુસાર ક્રિયા કરે તો કર્મક્ષયનો ઉદેશ સિદ્ધ થાય જ.
- દિકરી લગ્ન પહેલા પિતાના ધરમાં ખૂબ પ્રેમ ભાવથી પોતાનું ધર માનીને રહે છે અને ઘરકાર્ય કરે છે પરંતુ પરણીને સાસરે ગયા પછી પતિનો અને એમના ઘરની ક્રિયાનો આદર એને હ્રદયમાં એટલો બધો જાગે છે કે પછી પિતાના ઘરનું બધું ભુલી જાય છે પહેલા જે પિતાના ઘરની વસ્તુને પોતાની ગણતી તે હવે પતિના ઘરની વસ્તુને પોતાની ગણે છે.
- પતિના ઘરમાં આદર સાથેની ક્રિયાનું આ પરિણામ છે, તેવી જ રીતે આપણે પણ સાંસારિક ક્રિયાને બદલે ધાર્મિકક્રિયાને આદર સાથે કરીએ.
હવે પછીના ભાગમાં આપણે ચંદનબાળાનું પ્રભુ પ્રત્યેના બહુમાનનું દ્રષ્ટાંત જોઇશું…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶