ભાગ ૧૧૬: ધર્મક્રિયામાં પહેલાં ક્રિયા પ્રત્યે બહુમાન કરવું
આગળના ભાગમાં આપણે બહુમાન અંગેનું દ્રષ્ટાંત જોઇ રહ્યા હતા
- એક ગામની નજીકમાં જંગલમાં એક સુંદર કાષ્ઠનું ઝાડ હતું એ કાષ્ઠ મકાન બાંધવા સુંદર ઉપયોગી થાય એમ હતું તેથી રાજા અને મોટા શ્રીમંતોએ એમાંથી કાઇ કાપી લાવવા મજુર દ્વારા પ્રયત્નો કરતા પરંતુ એ વૃક્ષ દેવાધિષ્ઠિત હોવાથી દેવ વૃક્ષ છેદવા આવતા મજુરોને મોતને ઘાટ ઉતારી દેતા. પછી તો એ કાષ્ઠને કાપી લાવવા કોઈ તૈયાર જ નહીં…..
- એમાં રાજાએ એ કાષ્ઠ લાવનારને ઈનામ જાહેર કર્યું, પણ કોણ હિંમત કરે?
- ત્યાં તો એક ગરીબ કારીગરને સહાયતા કરવા એક સમજદાર શ્રાવકે કહ્યું,
જો આ દેવનો માલ છે, એ આપણે એમની બહુમાનથી પૂજા-ભક્તિ કરીને રજા માગ્યા વિના ઉપાડીએ તો એ કેમ સહન કરે? એક સામાન્ય માણસ પણ પોતાનો માલ ચોરીથી ઝડપ કરનારને સહન નથી કરતો, તો મહાન દિવ્ય શક્તિવાળા દેવતા કેમ સહન કરે? માટે પહેલાં એ દેવનાં બહુમાનભર્યા પૂજન કર, પછી આજ્ઞા માગ, પછી વૃક્ષ કાપ, તો તને કાંઈ નહીં થાય.
હવે આગળ,
- પેલા ગરીબ કારીગર માણસે એ પ્રમાણે દેવપૂજાની સામગ્રી લઈ જઈ દેવનાં બહુમાન સાથે પૂજન કર્યા, પછી ઘુંટણીએ પડી પ્રાર્થનાપૂર્વક કાષ્ઠને લેવાની રજા માગી, પછી કુહાડી લગાડતાં ફટોફટ કાષ્ઠ મળવા લાગ્યું, દેવે કશી શિક્ષા કરી નહિ, ને કારીગરને મોટું ઈનામ મળ્યું.
- એ બસ, આ પરથી શીખવાનું છે કે આપણી દરેક ધર્મક્રિયા પર પહેલાં, હૈયામાં એ ક્રિયા પ્રત્યે બહુમાન ઊભું કરવું, પછી કિયા કરીએ તો અથાગ લાભ થાય..
- નવા જમાનામાં આ બહુમાનનું તત્ત્વ વિસરાઈ જવામાં આવ્યું છે. એટલે જ આજના છોકરા મા-બાપનું બહુમાન કરવાને બદલે જાણે હુકમથી કામ લે છે. એ એમ જ સમજે છે કે માબાપ અમને સંભાળવા બંધાયેલા છે. એનું પરિણામ એમના જીવનમાં માનવતા આવવાને બદલે પશુતા દેખાય છે. અલબત મનુષ્યજીવન જીવાઈ જાય છે, પરંતુ માનવતા નથી જીવાતી. જો પૂજયો પ્રત્યે વડિલો પ્રત્યે બહુમાન આવી જાય તો માનવતા ખીલી ઊઠે.
- ખરી રીતે ક્રિયા શરૂ કરતાં પહેલાં દિલમાં બહુમાન થાય, અહોભાવ થાય કે
ક્રિયા! તું મારી તારણહાર, અહો કેવાં મારાં અહોભાગ્ય કે મને આ ધર્મક્રિયા કરવા મળી! એ ક્રિયા પર બહુમાન આવે એટલે એ ક્રિયાના સાધન અને ક્રિયાના દાતા ગુર્વાદિક પ્રત્યે પણ બહુમાન આવે.
જેમ કે,
- ભગવાનની પૂજાની ક્રિયામાં એ પૂજાનાં સાધનભૂત કળશ વાટકી પ્રત્યે પણ બહુમાન હોય, તો એને જેમતેમ પછાડાય નહીં, ફેંકાય નહીં, પગેથી ઘસેડાય નહીં
-
અભિષેક પૂજાની ક્રિયામાં પણ એક હાથે કળશ પકડી જેમતેમ ભગવાનને નવરાવાય નહીં, કિન્તુ બે હાથે કળશ પકડી ભગવાનના મસ્તક પર બહુમાનથી અભિષેક ક્રિયા થાય.
- તિલક પૂજા
- તિલક પૂજા કરતી વખતે ઘણા લોકો ફક્ત વાટકીમાં જ ચંદન લઇ અને થાળીમાં વાટકી ન રાખતા હથેળીમાં જ વાટકી રાખીને પૂજા કરતા હોય છે જે ઉચિત નથી
- આપણા ઘરે જો કોઇ મહેમાન આવ્યા હોય તો આપણે મહેમાનને ટ્રેમાં જ પાણીનો ગ્લાસ આપીએ છીએ ને?જ્યારે અહીં તો ત્રિલોકનાથ પ્રભુની પૂજા હથેળીમાં વાટકી રાખીને કરાય?
- તિલક પૂજામાં પણ ભગવાનને જેમતેમ આંગળીઓના ગોદા લગાવીને નહીં કિન્તુ ભગવાનને ગોદો ન લાગે એ રીતે બહુમાનથી કોમળ હાથે તિલક થાય તેમજ ટાઇપીસ્ટ જેમ ઝડપી ટાઇપ કરે તે રીતે પ્રભુની પૂજા ન થાય
- જ્ઞાન ભણવાની ક્રિયામાં પણ પહેલાં પુસ્તકને બહુમાનથી આપણી બેઠક કરતાં ઊંચા બાજોઠ-સાપડા પર પુસ્તક સ્થાપી એને બે હાથ જોડી વંદન કરી, પછી બહુમાનપૂર્વક ગોખવા-વાંચવાનું કરાય
- મુનિને દાન દેવું છે. તો મુનિ પધારતાં ‘ધન્ય ભાગ્ય ! પધારો સાહેબ ! લાભ આપો ! ઈત્યાદિ બહુમાનના શબ્દોથી એમનું સ્વાગત કરાય, અને દાન-ક્રિયા બહુમાન સાથે કરાય.
-
સાધર્મિક વાત્સલ્યની ક્રિયામાં સાધર્મિકને પહેલાં હાથ જોડાય, અહોભાવ પ્રગટ કરાય. મારાં અહોભાગ્ય! આપની ભક્તિ કરવાનો સુવર્ણ અવસર મળ્યો! પછી પીરસણ બહુમાનપૂર્વક કરાય.
- સાધુને વંદનની ક્રિયામાં પણ દિલમાં પહેલાં સાધુ અને ખમાસમણની ક્રિયા પ્રત્યે બહુમાન ઊભું કરાય.
આ મારા તારણહાર છે, મને વંદન કરવા દઈ મને તરવાની તક આપે છે.
- વંદનની ક્રિયા દા. ત. “વાંદણા પર પણ બહુમાન એવું કે જેમ કોઈ રાજાને વંદન કરવાનું આવે તો કેવા બહુમાનથી વંદન થાય, એમ અહીં પણ વંદન બહુમાનથી થાય.”
- પછી ત્યાં સૂત્ર બોલવાનું હોય તે બહુમાનથી સૂત્ર બોલાય, પણ ગાડી ગબડાવાય નહીં.
- ધર્મક્રિયામાં પહેલાં ક્રિયા પ્રત્યે બહુમાન કરવું, ગુરુ પ્રત્યે હૈયે બહુમાન ઊછળતું કરવું, અરે! એનાં સાધન જેમ કે ઓઘો, ચરવળો, મુહપત્તિ વગેરે એના પર પણ પહેલાં બહુમાન ઊભું કરવું, જેથી એને જેમતેમ હેન્ડલ ન થાય. દા. ત. ચરવળાને ઓશિકું ન બનાવાય.
- બહુમાન મોટી ચીજ છે. આ બહુમાન એમ ને એમ ન આવે, એ માટે તો અંતરમાંથી “અહમ(સ્વાભિમાન) ને દૂર મૂકવું પડે.
- ધ્યાન રાખવું જોઈએ કે “અહમ્-અભિમાન” તો અનંતા ભવો એ કર્યા હવે એને તોડવાનો આ ઉત્તમ ભવ મળ્યો છે, તે અહીં નહીં તોડીએ તો ક્યાં તોડીશું?
- એમાં ય જે આપણા તારણહાર ધર્મના સાધનો અને સ્થાનો છે ત્યાં પણ “અહમ ઊભું રાખીને ક્રિયા વ્યવહાર કરાય?”
- અહમ નું નાટક એવું થાય છે કે પૂજયભાવ તો બહુમાનના સ્થાને દેખાડાય, પણ એવા પ્રસંગે આરાધનાના સ્થાને આશાતના થાય છે. દા.ત. જિનપૂજામાં કોઈએ ઠપકો આપ્યો કે
તમે મેં ભરેલો કલશ કેમ લીધો ?
- તો એને
લ્યો આ તમારો કલશ
- એમ બોલતાં એ કલશ પછાડીને આપવાનું થાય છે!
- પુસ્તક દેવાના અવસરે પુસ્તક પછાડીને આપવાનું મન થાય છે.
- આમ કોઈક વ્યક્તિ પ્રત્યેનો દિલનો અભિમાન અને રોષ તારણહાર કલશ કે પુસ્તક ઉપર ઉતારવાનું થાય છે. આ કેવી આપણી કરુણ દશા!
આનું મૂળ કારણ એના પર મૂળ પાયામાં બહુમાન નથી, એ છે ને એનું કારણ હૈયામાં વાઘ-વરુના અવતારે જાળવેલું અહમ અહીં ઉત્તમ માનવ અવતારે પણ જાળવી રાખ્યું છે! કેવી કરૂણ દશા!
- અહમ ઉપર સંસારની ઈમારત અસ્ખલિત ઊભી રહે છે કેમકે એમાં પોતાના આત્માની દુર્દશાનો ખ્યાલ જ નથી રહેતો. પછી એ દુર્દશા દૂર રાખવાનો વિચાર પણ ક્યાંથી આવે? - ધર્મક્રિયામાં પહેલા નંબરમાં સ્થાન પર બહુમાન કેળવી આ “અહમ્” ભાવ તોડી શકાય છે.
- દરેક ધર્મક્રિયા શરૂ કરતા પહેલાં એના પર હૈયામાં બહુમાન કરવું, અને પછી ધર્મક્રિયા શરુ કરવાથી અગણિત ફાયદાઓ થશે
વધુ હવે પછીના ભાગમાં
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶