🔶🔶🔶🔶🔶🔶🔶🔶

જો આપ હજુ ગ્રુપમાં જોડાયા ન હો તો, ગ્રુપમા જોડાવા માટે અહીં ક્લિક કરી જોડાઇ શકશો

🔶🔶🔶🔶🔶🔶🔶🔶

ભાગ ૩૩: પ્રભુ મોટું ફળ આપ​વા સમર્થ છે તો તેની પાસે નાના ફળની માંગણી કર​વી એ પ્રભુની અવહેલના કરી ન​ કહેવાય?

ગઇ કાલના ભાગમાં આપણે જોયું હતુ કે ધર્મક્રિયામાં સાતત્ય​-નિયમિતત્તા હોવી જ જોઇએ.

આ ભાગમાં આપણે ભકિતનું મહત્વનું અંગ આશય વિશે જોઇએ…

9A. આશય:


  • “આશય” એટલે મનનો અધ્યવસાય, મનનો ભાવ​, મનનું વલણ​, મનની પરિણતી.

  • ધર્મક્રિયા કર​વા પાછળનો આશય​-હેતુ શુદ્ધ હોવો જોઇએ અને ગામઠી ભાષામાં એ આશયની ફક્ત “માંયલા” ને જ ખબર પડે એટલે કે પોતા સિવાય કોઇને આશયની ખબર ન પડે.

  • પ્રભુદર્શન કરી પછી ન​વકારશી કરીશ એવો નિયમ રાખ્યો હોય અને વિચાર આવે કે જલ્દી પ્રભુદર્શન કરી આવું એટલે ન​વકારશી થાય તો આમાં આહારસંજ્ઞા જોરમાં આવી અને દર્શન તો માત્ર એક સાધન તરીકે થયું, આ દર્શનનો લાભ કેટલો મળે? એના બદલે જો એમ વિચાર કરીએ કે સ​વાર પડી અને કેવી કુટિલ આહારસંજ્ઞા! લાવ અણાહારી પદ પામેલા પ્રભુના દર્શન કરૂં અને અણહારની પ્રેરણા લઉં અને મનમાં એમ થાય કે હે પ્રભુ! જગતમાં તારાથી વધીને તો શું, પણ તારા સમાન પણ જોવા લાયક ચીજ છે નહીં. બસ આવો ભાવ લઇ પ્રભુના દર્શન કરાય તો ભક્તિભાવ પૂર્વક ગણાય​.

  • કોઇ શરીર સ્વાસ્થ્ય માટે મોર્નીંગ​વોક કર​વા નિકળે અને વચ્ચે આવતા દેરાસરના દર્શન પણ કરે અને તેને મન શરીરનું પ્રાધાન્ય વધારે હોય અને પ્રભુનું દર્શન ગૌણ હોય તો આવા આશયથી દર્શન કરનારને ખાસ લાભ ન થાય તેને બદલે જો એવો વિચાર કરે કે પ્રભુ તો મોક્ષે ગયા છે, અશરીરી બની ગયા છે અને હું હજી શરીર લઇને બેઠો છું અને શરીરની ચિંતા કરવી પડે છે, જો હું પણ ધર્મની આરાધના કરૂં તો હું પણ પ્રભુ જેવો અશરીરી બની જાઉં તો આ આશય યોગ્ય ગણાય​.

  • ઘણા લોકો દર ચૌદશે ઉપ​વાસ કરે તેની પાછળ આશય એવો હોય કે ૧૫ દિવસે એક ઉપ​વાસ કરીએ તો શરીર સારૂ રહે.. તો અહીં સ્વાસ્થય નો આશય થયો કહેવાય નહીં કે ધર્મનો.

  • ઉપધાન અથ​વા અઠ્ઠાઇ કરે તેને સોનાના ચેનની પ્રભાવના કર​વામાં આવશે અને ચેનના આશયથી જ જો તપ કર​વામાં આવે તો?

  • ક્યારેક ઘરમાં મહેમાન આવે અને કામ ન કર​વું પડે તે માટે તે દિવસોમાં જ જાત્રા કર​વા ઉપડી જાય તો તે જાત્રાનો હેતુ કેવો?
  • પર્યુષણમાં ટીપમાં લખાવવું ન પડે તે માટે પૌષધ લઇ લેવો,
  • પૌષધ કર્યો હોય અને પૌષધથી મૂકાઇ ગયેલા ભૌતિક કાર્યો અથ​વા તો ધંધાના કાર્યો માટે પસ્તાવો થાય. તો પૌષધનો આશય કેવો?
  • દર પૂનમે શંખેશ્વર જતા હોઇએ તો તેનો આશય શો?

અનુષ્ઠાન કરતા કરતા એટલે કે ધાર્મિક​ ક્રિયા કરતા કરતા લાભ થશે એ વાત સાચી તો જ બને જો હૈયામાં સારો આશય હશે.

  • નહીં તો એ ક્રિયા કોઇ કાળે નિશ્ચયમાં ન પરિણમે. વીતરાગના દર્શન કરી વીતરાગતા જ લેવાનું કામ કરાય​. આમ​, આપણે જો દાન કરતા હોઇએ, તપ - ત્યાગ કરતા હોઇએ, પૂજા આદિ ક્રિયાઓ કરતા હોઇએ…એ બધા પાછળ આશય શું છે તે તપાસ​વું જ પડે.
  • નહીં તો જેને આરોગ્યની ઇચ્છા નથી એને ઔષધનું શું કામ​? તેમ જેને આત્મ કલ્યાણની ઇચ્છા નથી તેને ધાર્મિક ક્રિયાથી શું મતલબ​?

  • પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,

“જે જીવ આહારાદિની ઇચ્છાથી, પૂજા-સત્કારની ઇચ્છાથી, રસ​ઋદ્ધિ કે શાતા ગાર​વની ઇચ્છાથી ક્રિયા કરે તે અધ્યાત્મની વૈરિણી છે.” ૧૨૫ ગાથાના સ્ત​વનમાં તેઓ કહે છે, “અધ્યાત્મ વિણ જે ક્રિયા તે તનુમલ તોલે રે…”

  • આપણે લોકસંજ્ઞાથી બધું કરીએ છીએ. પરંતુ કાર્ય એનું એજ કર​વાનું છે પણ આશય ફેર​વ​વાનો છે.
  • એક વાર જો આશય ફરી જાય તો કામ થઇ જાય​. યશ-કિર્તિ, સારા દેખાવું, વટ પાડી દેવો વગેરે કારણે ક્રિયા ગરબડવાળી બને છે. આવા ભાવો આવે તો પણ જો તે ભાવો ને તોડ​વાનો પ્રયત્ન ચાલુ રાખીએ તો ચોક્ક્સ લાભ થાય​.
  • તકલીફનું કારણ સંસારના સુખનો રાગ છે અને આ રાગ​-દ્રેષ ભગ​વાન સિવાય કોઇ દૂર નહીં કરે અને એ માટે જ આપણે ભગવાનને પૂજ​વાના છે.
  • જો ભગ​વાન પાસે આપણે સાંસારિક સુખ માંગીએ તો આ તો એના જેવું થયું કે આપણે અમેરીકાના પ્રેસિડન્ટ પાસે ૧૦૦ ગ્રામ ઘંઉનો લોટ માંગીએ અને આ તો ત્રિલોકનાથ​! જગતના ટોપ સ્થાને બિરાજમાન​…

  • આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે

પ્રભુ પાસે સંસારની તુચ્છ ચીજ માંગીને આપણે પ્રભુની આશાતના કરીએ છીએ… જે પ્રભુ મોટું ફળ આપ​વા સમર્થ છે તેની પાસે નાના ફળની માંગણી કર​વી તે પણ તેની અવહેલના કરી કહેવાય​…

  • ત્રણ લોકના નાથ પાસે તેમના ચરણની સેવા માંગ​વાની હોય.

શાશ્વત સુખ આપનાર એ ભગ​વાન પાસે જો આપણે સાંસારિક સુખ માંગીએ તો રત્ન છોડીને કાચ ગ્રહણ કર​વા જેવું છે.

હ​વે પછીના ભાગમાં આપણે આશય વિશે વધુ જોઇશું…




શેર કર​વા નીચે ક્લિક કરો