ભાગ ૭: શું આપણે સાચો ધર્મ કરીએ છીએ?
આગળનાં ભાગમાં આપણે જોયું કે જીવનના ઉત્થાન માટે ધર્મની અત્યંત આવશ્યકતા છે.
તો પછી આ ધર્મ ખરેખર શું છે?
કોઈ કહે છે કે
ધર્મ એટલે સેવા, કર્તવ્ય, ફરજ, નીતિ, સદાચાર, પ્રભુભક્તિ, દાન, સુવિચાર, જ્ઞાનોપાસના, કુલાચાર. ધર્મ એટલે શાસ્ત્રમાં બતાવેલા વિધિ-નિષેધો.
-
આ વ્યાખ્યાઓ એકાંગી છે, સંપૂર્ણ નથી કેમ કે તે દ્વારા ધર્મ શબ્દનો મર્મ, યથાર્થ ભાવ દર્શાવી શકાતો નથી.
-
ધર્મ શબ્દ “ધૃ” ધાતુ ઉપરથી બનેલો છે. “ધારે તે ધર્મ.” આત્માને અવનતિથી ધારી રાખે અને ઉન્નતિ તરફ લઈ જાય તે ધર્મ.
-
જેમ જેમ આત્મા ઉપર કર્મનો ભાર વધે તેમ તેમ આત્માની અધોગતિ થાય છે અને કર્મનો ભાર ઘટે તો ઊર્ધ્વગતિ પામે. અને સંપૂર્ણ કર્મરહિત થાય તો તે આત્મા મોક્ષે પહોંચી જાય .
“જીવનને ઉન્નત અને ઉજમાળ બનાવે, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવે, તેવી આચારસંહિતા અને વિચારધારાનું એક નામ એટલે ધર્મ .”
- જે ધર્મ આત્માની કામચલાઉ ઉન્નતિ કરે અને આગળ જઇ પાડે-પછાળે તો તે ધર્મ પણ નકામો છે.
- જે ધર્મ આત્માની કામચલાઉ ઉન્નતિ કરે પણ ઉતરોત્તર ઉન્નતિ ન કરે તે ધર્મ સાચો ધર્મ નથી.
“વત્થુ સહાવો ધમ્મો”
-
વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે
- જેમ કે, અગ્નિનો સ્વભાવ દઝાડવાનો છે,
- પાણીનો સ્વભાવ ઠંડક આપવાનો છે.
- એજ પ્રમાણે આત્માનો મૂળ સ્વભાવ છે જ્ઞાન , દર્શન અને ચારિત્ર. આત્મા નો સ્વભાવ તે જ ધર્મ.
- સ્વભાવ દશા તે જ ધર્મ.
- શુદ્ધ પરિણામ તે જ ધર્મ.
- વિશુદ્ધ ચૈતન્યનો આસ્વાદ એ જ ધર્મ .
“આજ્ઞા એ જ ધર્મ”
-
શ્રી હરિભદ્રસૂરી મહારાજ કહે છે, સંપૂર્ણ ધર્મ તીર્થંકર ભગવંતની આજ્ઞામાં સમાયેલો છે. એટલે કે, “જ્યાં જ્યાં જિનાજ્ઞા છે ત્યાં ત્યાં ધર્મ છે.”
-
પરમાત્માની ખરી ભકિત દર્શાવવી હોય તો પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલવું અને તેમનો ઉપદેશ પાળવો એ જ તેમની ભકિત…
-
જિનાજ્ઞાવિરૂદ્ધનો મોટો ધર્મ પણ આત્મા માટે અહિતકારી છે. જ્યારે જિનાજ્ઞા મૂજબનો નાનો પણ ધર્મ આત્મા માટે હિતકારી છે.
-
જેમકે કુંટુંબનો કોઇ સભ્ય બિમાર પડયો હોય તો તેની દેખભાળ રાખવી એ કૌટુંબિક ફરજ છે ત્યારે જો આપણે એમ વિચારીએ કે ઊંચો ધર્મ તો આત્માનો શુધ્ધ સ્વભાવ છે અને કૌટુંબિક ફરજ એ ઊંચો ધર્મ નથી અને આ બધા સંબંધો કાલ્પનિક છે મૂળથી બધા આત્મ-દ્રવ્ય સરખાં છે એમ શુધ્ધ ભાવને વિચારી અને કૌટુંબિક ફરજ ચૂકી જઇએ તો શ્રેષ્ઠ ધર્મપણ હિતકારી ન કહેવાય …..
જે, જ્યારે, જેને માટે અવશ્ય હિતકારી હોય તેને જ જિનાજ્ઞા કહેવામાં આવે છે.
-
સામાજિક કર્તવ્યની જિનાજ્ઞા હોય ત્યાં સામાજિક કર્તવ્ય, જ્યાં શુભ ભાવ કરવાની જિનાજ્ઞા હોય ત્યાં શુભ ભાવ અને જ્યાં શુધ્ધ ભાવ કરવાની જિનાજ્ઞા હોય ત્યાં શુધ્ધ ભાવ કરીએ તો તે ધર્મ છે અન્યથા ધર્મ નથી…
-
કોઇ પણ ધર્મની વ્યક્તિ હ્રદયથી એમ માને કે, “આ સંસાર અસાર છે, ભોગસુખો તુચ્છ છે, છોડવા જેવા છે અને તેના માટે હું બીજાને ત્રાસ આપું એ યોગ્ય નથી.” તો તે વ્યક્તિ ગમે તે ધર્મમાં હોય પણ તેનો જીવ જિનાજ્ઞામાં જ કહેવાય.
-
આમ , જિનાજ્ઞા શબ્દમાં, “જિન એ વ્યક્તિવાચક નામ નથી પરંતુ ગુણમય વ્યક્તિત્વ છે.”
હવે પછીના ભાગમા આપણે જોઇશું કે જૈન કોને કહી શકાય?
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶