ભાગ ૯૩: ભગવાને દેશનામાં કીધેલ ઘેંટાનો દાખલો આપી સમજાવે છે કે ઘેંટાને સારૂ - સારૂ ખવરાવી ક્સાઇ છેવટે કાપવાનો જ છે.
આગળના ભાગમાં આપણે કષ્ટમાં જિનવચનની સલાહ વિશે જોયું
હવે આગળ,
આજ્ઞા
ભગવાન મહાવીરનું ચોમાસું રાજગૃહી નગરીમાં હતુ અને ત્યાં રાજા શ્રેણિક, તેમની રાણીઓ, પુત્રો - નગરજનો વગેરે દેશના સાંભળે છે.
- શ્રેષ્ઠી શ્રી મેતાર્યને દેશના સાંભળી વૈરાગ્ય ભાવ જાગ્યો, ભગવાનને ચારિત્ર આપવા વિનંતી કરી.
સંસારી સગાઓએ અને ખુદ શ્રેણિક રાજા મેતાર્યને સમજાવે છે,
આ વૈભવ, નવ-નવ નારીઓ છોડી આ દુષ્કર પંથે ક્યાં જાઓ છો?
મેતાર્ય,
ભગવાને દેશનામાં કીધેલ ઘેંટાનો દાખલો આપી સમજાવે છે કે ઘેંટાને સારૂ - સારૂ ખવરાવી ક્સાઇ છેવટે કાપવાનો જ છે.
- એ ઘેંટુ સમજતુ નથી એમ જીવ પણ ખાઇ-પી મોજ માણે છે પણ એક દિવસ મૃૃત્યુ થવાનું જ છે તે જીવ સમજે તો ચારિત્ર એ જ એક માત્ર ઉપાય આત્મા માટે ભવભ્રમણમાંથી છુટવાનો છે.
- ભગવાન મેતાર્ય શ્રેષ્ઠીને દીક્ષા આપી મેતારજ મુનિ બનાવે છે.
મુનિ મેતારજે આકરાં ત૫ શરૂ કર્યા
- ઘણા વખત બાદ પાછા રાજગૃહી આવ્યા.
- એક મહિનાના ઉપવાસ બાદ મેતારજ મુનિ પારણા માટે ગોચરી લેવા એક સોનીને ઘેર પધાર્યા.
- સોની રાજા શ્રેણિક માટે સોનાના જવલા ઘડતો હતો, વહોરાવવા માટે ગોચરી લેવા અંદરના ભાગમાં ગયો.
-
સોની અંદર ગયો એટલે એક ચકલો ત્યાં આવી સાચા જવ સમજી જવ(જવલા) ચરી ગયો અને સોની બહાર આવે ત્યાર પહેલાં ઊડી બાજુના ઝાડ ઉપર જતો રહ્યો.
- સોનીએ બહાર આવી મુનિને ભાવથી ગોચરી વોહરાવી અને મુનિ વિદાય થયા.
- સોની પાછો કામે બેઠો અને જોયું તો જવલા ન મળે - ક્યાં જાય જવલા, ચોક્કસ મુનિ લઈ ગયા - દોડ્યો, મુનિને પકડ્યા, ઘરે પાછા લાવી ધમકાવ્યા - જવલા લાવો.
- મુનિ તો સાચા વૈરાગી - સાચું બોલે તો ચકલાને મારી જવલા મેળવે જેથી હિંસાનું પાપ લાગે - જૂઠું બોલે તો મૃષાવાદનો દોષ લાગે. મુનિ મૌન જ રહ્યા.
સોની તો ક્રોધ કરતો જ ગયો.
- સાચી વાત જાણતો નથી જવલા રાજાજીને ન પહોંચાડે તો રાજાજી ભારે દંડ કરશે એમ વિચારી સાધુ મુનિને ભારે શિક્ષા કરવા મનથી નક્કી કરી, પાસે પડેલ ચામડાનું વાધરું પાણીમાં પલાળી મુનિના મસ્તકે તાણી તાણીને બાંધી દીધું.
-
વાધરું મસ્તકની ગરમીથી સુકાશે તેમ તેમ મસ્તકની નશો ખેંચાશે અને મુનિ માની જશે, જવલા આપી દેશે - એમ સોની માનતો હતો.
- અત્યાંત કૃશ થઇ ગયેલા અને માસક્ષમણની તપશ્ચર્યાથી આળા જેવા બનેલા શરીર ઉપર આ ઘોર કષ્ટ કેમ સહન થાય? કારમી પીડા ઉભી થઇ.
ફટ-ફટ ફૂટે હાડકા, તડ તડ તૂટે રે ચામ;
મેતારજ મુનિએ આ કષ્ટ શી રીતે બરદાસ્ત કર્યું? મન કેમ ન બગાડ્યું? કષ્ટ કેવી રીતે વધાવી લીધું?
- મુનિ તો સમતા ધારી ઊભા છે.
- કેવા કેવા ઉપસર્ગો સહન કરી ભૂતકાળમાં મહાનુભાવો મોક્ષે ગયા છે, તે વિચારતાં વિચારતાં મસ્તકની અસહ્ય વેદના સહન કર્યે જાય છે.
- ચામડું ખેંચાતું જાય છે, મસ્તકની નશો તૂટતી જાય છે અને મુનિ અંતરથી સર્વે જીવોને ખમાવતા જાય છે.
- પોતાનાં જ કર્મો ખપતાં જાય છે, સોનીનો કોઈ દોષ નથી - ચક્લાનો પણ કંઈ દોષ નથી, એમ વિચારતાં સમતાના સર્વોત્તમ શિખરે પહોંચી મુનિ કેવળજ્ઞાની થાય છે.
ગજસુકુમાળ સંતાપિયાજી , બાંધી માટીની પાળ
ખેર અંગાર શિરે ભર્યાજી, મુગતે ગયા તત્કાળ।
મેતારજ મુનિવર ! ધન ધન તુમ અવતાર
વાઘણે શરીર વલુરિયું જી, સાધુ સુકોશલ સાર
કેવળ લઈ મુગતે ગયાજી, ઈમ અરણિક અણગાર…મેતા,
પાલક પાપી એ પીલિયાજી , ખંધકસૂરિના શિષ્ય;
અંતગડ ચેલા પાંચસેજી, નમો નમો તે નિશદિશ… મેતા.
એવા મુનિ સંભારતાજી , મેતારજ ૠષિરાય
કર્મખપાવી શિવપુર ગયાજી, નમો નમો તે મુનિરાય, મેતા.
-
થોડીક વારમાં દેહ ઢળી પડે છે. મુનિનો આત્મા મોક્ષે જાય છે.
- થોડા વખત પછી એક બાઈ લાકડાનો ભારો ઝાડ નીચે નાખે છે.
- તે અવાજથી ચોંકી જઈ પક્ષી ચરકી જાય છે અને તેના ચરકમાં જવલા દેખતાં જ સોની કંપી ઊઠે છે.
- અરરર! સાચું જાણ્યા વિના કેવો અનર્થ કર્યો.
- મુનિના પ્રાણની જવાબદારી કોની? આ ગુના માટે રાજાજી ભારે શિક્ષા કરશે જ.
- ગભરાયેલા સોનીએ મુનિનો ઓઘો લઇ તેમનાં વસ્ત્રો પહેરી તેઓ અણગાર (સાધુ) બની ગયા, કાળે કરી પોતાના આત્માને તાર્યો.
ગૂમડું સાફ થતું હોય ત્યાં નસ્તરની પીડા એ દુ:ખ નથી મનાતી એમ અહીં કર્મ સાફ થતા હોય ત્યાં ઉપસર્ગની પીડા એ દુ:ખ ન ગણાય એટલે જિનવચનના આલંબને મેતારજ મુનિને ઘોર પીડામાં અને મરણાંત કષ્ટમાં દુ:ખ ન લાગ્યું અને એથી જ એ ત્યાં જ કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા
ધન્ય છે મેતારજ મુનિને…
વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶