ભાગ ૮૬: રથયાત્રામાં હાથી-ધોડા ઉપર બેસવું એ શું હિંસા છે?
આગળના ભાગમાં આપણે આજ્ઞા વિશે જોઇ રહ્યા હતા કે પ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી પ્રભુની ભક્તિ જ થાય છે, આજ્ઞા પ્રમાણે ચાલવું, પ્રભુનો ઉપદેશ પાળવો તે પ્રભુની ભક્તિ જ છે…
હવે આગળ,
આજ્ઞા
પ્રભુના શાસનમાં અહિંસા એ મુખ્ય ધર્મ કહેવાય, પણ “અહિંસા એ જ ધર્મ” એવું નથી.
- જો અહિંસા ને જ ધર્મ માનીએ તો “શ્રાવકે પરમાત્માની પૂજા કે સાધર્મિક ભક્તિ વગેરે કોઇ અનુષ્ઠાન ન કરાય”
- જે અહિંસા આપણને કાયમી અહિંસક્તા સુધી પહોંચાડનારી હોય તો જ તે અહિંસા માન્ય રખાય છે. તેમ જે હિંસા પણ કાયમી અહિંસકભાવ સુધી પહોંચાડનારી હોય તો તે હિંસા પણ પ્રભુના શાસનમાં માન્ય છે.
રથયાત્રામાં હાથી-ધોડા ઉપર બેસવું એ શું હિંસા છે ?
મહાપૂજામાં લાખો ફૂલોનો થતો શણગાર એ શું હિંસા છે ?
-
જે અનુષ્ઠાન કરવાથી આપણા રાગ-દ્રેષ ઘટતાં હોય, ભૌતિક સ્વાર્થ નબળો પડતો હોય, ભવરોગ દૂર થતો હોય તે અનુષ્ઠાનમાં થતી હિંસા એ હિંસા જ નથી અને જેના હૈયામાં સ્વ-પર જગતના તમામ જીવોનું કલ્યાણ કરવાની ભાવના ઝળહળતી હોય, શાસનરક્ષાની ભાવના ધબકતી હોય તો એ ઝઘડો કરે કે તિરસ્કાર કરે, દ્રેષ કરે કે હિંસા કરે તો પણ એ અહિંસા જ છે.
- આપણને ફૂલમાં હિંસા દેખાય છે અને અન્ય ગ્રહકાર્યમાં ૧૫-૨૦ બાલદી પાણીની ઢોળતા જરાય વિચાર પણ નથી આવતો.
- જો પાણીનું ૧ ટીપું ઢોળતા પણ હૈયુ વેદના અનુભવે એવી અવસ્થા આવે નહીં ત્યાં સુધી ફૂલથી પ્રભુની ભક્તિ કરવી જોઇએ.
- એમ તો આપણે પ્રતિક્રમણ કરીએ અને ચરવળો હલાવીએ તોય વાયુકાયના જીવોની હિંસા થશે, તો શું પ્રતિક્રમણ નહીં કરવાનું ?
- પરંતુ એવુ ન હોય, રાગાદિ પોષાતા હોય તો દેખીતી અહિંસા પણ હિંસા જ છે અને રાગાદિ નબળા પડતા હોય તો દેખીતી હિંસા પણ અહિંસા છે.
તત્વાર્થમાં પણ કહ્યું છે કે,
પ્રમાદના યોગે થતો જીવનો નાશ એ ત્રસ હોય કે સ્થાવર હોય એને હિંસા કહેવાય અને તેનો ત્યાગ એ પ્રથમ અહિંસા વ્રત છે. ત્રસ એટલે હાલતા ચાલતા જીવો. સ્થાવર એટલે જે પોતાની ઇચ્છા મૂજબ હલી-ચલી ન શકે તેવા જીવો.
- બીજા જીવને મારવો એ જ માત્ર હિંસા નથી પણ પ્રમાદથી જીવ મરે તો હિંસા
- અને પ્રમાદ ન હોય અને જીવ મરે તો હિંસા નહી.
- આ પ્રભુના શાસનનો મૂળભુત સિદ્ધાત સ્યાદવાદ છે.
- આપણામાં પ્રમાદ હોય અને મૌનપણે ખૂણામાં બેસીને આરાધના કરીએ તોય હિંસા અને અપ્રમતપણે દુનિયામાં ફરીએ તો ય અહિંસા.
કાળજી રાખીને ચાલનારાના પગ નીચે કીડી અચાનક મરી જાય તો પણ પાપ ન લાગે કારણ કે એમ તો કોઇ જીવને મારવાની તાકાત આ દુનિયામાં કોઇની નથી.
- એ મારી ત્યારે જ શકે જ્યારે સામા જીવનું આયુષ્ય પૂરૂ થવાનું હોય.
- પરંતુ અહીં જો પરિણામ મારવાનો હૈયામાં હોય તો પાપ લાગે.
- વ્યવહારમાં પણ આવું જ બને છે ને ! ચોર ચપ્પુ મારે અને માણસ મરે નહીં તો ય કેસ થાય અને ડોક્ટર ચીરે અને માણસ મરી જાય તો ય કેસ ન થાય કેમ કે ડોક્ટરને બચાવવાનો ભાવ છે અને ચોરને મારવાનો ભાવ છે.
- આપણે હિંસા કરીએ કે ન કરીએ પણ અંદર રાગનો પરિણામ છે. માટે હિંસાનું પાપ લાગે જ.
સંસારદાવામાં લખ્યું છે,
પરમાત્માના શાસનની હિંસા અને અહિંસાનું સ્વરૂપ સમુદ્રના ઉંડાણ જેવું છે.
- જો દેખાય એટલી હિંસા માનવામાં આવે તો સાધુ શ્વાસો-શ્વાસ લે, વ્યાખ્યાન આપે, વગેરેમાં પણ વાયુના જીવોની હિંસાનું પાપ લાગશે અને એકેન્દ્રિય અહિંસક કહેવાશે.
- પણ શાસ્ત્રકારો સાધુને પરમ અહિંસક કહે છે અને એકેન્દ્રિય જીવમાં રાગ છે માટે એ હિંસક છે, એકેન્દ્રિયને સંયોગો નથી મળ્યા માટે પાપ નથી કરતો પણ કરવાના પરિણામ તો છે જ.
આપણે આવું જ એક તંદુલિયા મત્સનું દ્રષ્ટાંત જોયું હતુ, તે વાંચવા અહીં ક્લિક કરો…
આજ્ઞા વિશે વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶