ભાગ ૯૦: પછેડી જોઇ પગ પહોળા કરાય
આગળના ભાગમાં આપણે જોયું હતું કે રાજા એક કબુતર માટે પોતાની જાતનું બલિદાન આપવા તૈયાર થયો… અને આખરે રાજા શ્રી શાંતિનાથ પ્રભુ નામે ૧૬મા તીર્થકર બન્યા.
હવે આગળ,
આજ્ઞા
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહરાજાએ “શ્રી વીતરાગ સ્તોત્ર” માં પરમાત્માની આજ્ઞાનું મહિમાજ્ઞાન કર્યું છે.
સંસારમાં સર્વ સુખનું મૂળ જાણતાં-અજાણતાં કરેલી પરમાત્માની આજ્ઞાની આરાધના છે અને સર્વ દુ:ખનું મૂળ જાણતાં-અજાણતાં પણ કરેલી પરમાત્માની આજ્ઞાની વિરાધના છે.
-
સદગતિ અને સદગતિની પરંપરાનું મૂળ આજ્ઞાની આરાધના છે અને દુર્ગતિ અને દુર્ગતિની પરંપરાનું મૂળ આજ્ઞાની વિરાધના છે.
-
માનસિક શાંતિની અનુભૂતિ એ આજ્ઞાની આરાધનાનું ફળ છે અને માનસિક અશાંતિની અનુભૂતિ એ આજ્ઞાની વિરાધનાનું ફળ છે.
-
શ્રી અરિહંત પરમાત્માએ બતાવેલી ધર્મકરણી આજ્ઞા મૂજબ કરીએ તો તારનારી બને છે અને આજ્ઞાની ઉપેક્ષા કરીને કરીએ તો ડૂબાડનારી બને છે.
આપણા માટે “આવક અનુસાર ખર્ચ” એ નિયમ છે પણ આજે તો “ખર્ચ અનુસાર આવક” ની નીતિ અપનાવાય છે એમાંથી જ અનીતિએ જ માઝા મૂકી છે.
- નસીબ કોડીયા જેટલું અને ઇચ્છા આકાશ જેટલી, પછી આડા-અવળા રસ્તા લેવા જ પડે.
જુના લોકો પણ કહેતા,
પછેડી જોઇ પગ પહોળા કરાય
- પણ આ તો પગ મુજબ પછેડી ખેંચવા જાય તો પછી પછેડી ફાટે જ ને!
નીચલો વર્ગ હપ્તા પદ્ધતિમાં ફસાય છે તો ઉપલો વર્ગ ક્રેડિટકાર્ડ જેવી લાલચમાં ફસાય છે.
- આંખના ચશ્મા માપ કરતાં મોટા હોય તો નાક નીચે સરી પડે છે.
- આંગળીના માપ પ્રમાણે જ વીંટી લેવાય છે.
- શરીરના બાંધા પ્રમાણે જ શર્ટ ખરીદાય છે.
- કમરના ઘેરાવા મૂજબ જ પેન્ટ સીવડાવાય છે.
- પગના માપ અનુસાર જ બૂટ લેવાય છે.
બધે માપ અને પ્રમાણનો આગ્રહ રાખનારા આપણે ઘરખર્ચ અંગે અમાપના આગ્રહી શા માટે બની જતા હશું?
- શાસ્ત્ર મૂજબ ૨૫% વેપારમાં, ૨૫% ખર્ચ ખાતે, ૨૫% દાન-પરોપકાર ખાતે, અને બાકીના ૨૫% બચત ખાતે, જેમાં કોઇ આકસ્મિક ખર્ચ આવે તો સંકલેશ ન થાય.
અંગ્રેજીમાં એક કહેવત છે,
Needs can be met, wants never
એટલે કે, જરૂરીયાતો ભિખારીની પણ પૂરી થઇ શકે છે પણ ઇચ્છાઓતો ચક્રવર્તિની પણ પૂરી થતી નથી.
પ્રભુ આપણને બચાવવા માંગે છે. સંસારથી પાર પમાડવા માંગે છે પરંતુ ત્રણલોકના નાથ પ્રત્યે શ્રદ્ધા-વિશ્વાસ નથી. “આ મારા હિતચિંતક છે.” એવો વિશ્વાસ બેસતો નથી.
જ્યારે ચન્દ્રગુપ્તને વિશ્વાસ હતો કે ચાણક્ય મારું ભલું જ કરશે, મારું સારું જ કરશે.
- એક વખત નંદરાજાના સૈનિકો ચન્દ્રગુપ્ત અને ચાણક્યની પાછળ પડ્યા, આ બન્ને આગળ દોડતા હતા, પાછળ બંન્ને સૈનિકો ઘોડેસવાર હતા, આથી બંન્ને વચ્ચેનું અંતર એકદમ ઓછું થઈ ગયું.
- ત્યારે ત્યાં સરોવરના કિનારે ધોબી કપડા ધોતો હતો, એને ભગાવી ચાણક્ય એની જગ્યાએ બેસી ગયો અને ચન્દ્રગુપ્તને પાણીમાં છુપાઈ જવા કહ્યું.
સૈનિકોએ આવીને પૂછ્યું,
ચન્દ્રગુપ્તને જોયો ?
ધોબી ના વેશમાં રહેલા ચાણક્યએ કહ્યું,
હા, હમણાં જ આ પાણીમાં છુપાઈને રહ્યો છે.
- સૈનિકો પોતાનો શસ્ત્રસરંજામ નીચે મૂકીને એને પકડવા માટે પાણીમાં ગયા.
- એટલામાં જ ચાણક્યએ એ શસ્ત્રસરંજામ લઈને સૈનિકોને ખતમ કર્યા.
- ચન્દ્રગુપ્તને બહાર બોલાવીને સૈનિકોના જ ઘોડા લઈને આગળ વધ્યા.
હવે ચાણક્ય, ચન્દ્રગુપ્તને પૂછે છે કે,
મેં જ્યારે સૈનિકોને “ચન્દ્રગુપ્ત પાણીમાં છુપાયો છે.” આવો જવાબ આપ્યો ત્યારે તત્કાલ તને શું વિચાર આવ્યો હતો?
ચન્દ્રગુપ્તનો જવાબ સાંભળવા જેવો છે,
આર્ય જે કરે તે મારા હિત માટે જ હોય
- આ ચન્દ્રગુપ્તનું ચાણક્ય પ્રત્યે અદભુત સમર્પણ હતુ તો પરમાત્માની આજ્ઞા પ્રત્યે આપણું સમર્પણ કેવું?
વધુ હવે પછીના ભાગમાં…
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶