ભાગ:૨૦: શ્રી નવકારમંત્રના આલંબને મોક્ષ સાધના
જીવ નો આજ સુધી મોક્ષ કેમ થયો નથી?
- જીવે કદી પોતાની અશુદ્ધિઓ દૂર કરી નથી અથવા તો અશુદ્ધિઓ જેનાથી દૂર થાય તે ઉપાયોનું સાચું આલંબન તેણે કદી લીધું નથી.
તો તે કયા ઉપાય છે જેથી મોક્ષ સાધના સરળ બને?
શ્રી નમસ્કાર મંત્રની સાધના દ્રારા જીવની શુદ્ધિમાં અનન્ય કારણભૂત:
- કૃતજ્ઞતા,
- પરોપકારિતા
- આત્મસમદર્શિત્વ
- પરમાત્મસમદર્શિત્વ
આદિ ભાવો મહામંત્રના સાધકમાં પણ ઉત્પન્ન થાય છે.
પરમેષ્ઠિઓ આ ચારેય ભાવથી ભરપૂર છે એટલે તેમનું આલંબન લેનારમાં તે ભાવો પ્રગટે તે સહજ છે.
કૃતજ્ઞતા એટલે શું?
- હું તમામ વિશ્વનો દેવાદાર છું, અનાદિ કાળથી અનેકના દુ:ખમાં હું નિમિત્ત બન્યો છું, અનેક જીવોએ અનેકવાર મારું ભલું કર્યું છે તેથી એ ઋણમાંથી મુક્ત થવા માટે મારે સૌનું ભલું ઇચ્છવું જ જોઇએ અને શક્તિ મુજબ મારે સૌનું ભલું કરવું એ મારી ફરજ છે. મનમાં આ ભાવ થવો એ જ કૃતજ્ઞતા.
- આ કૃતજ્ઞતા ગુણના પાલનપૂર્વક કરાતાં નમસ્કારનો પ્રભાવ એવો અચિંત્ય છે કે આપણા તમામ અંતરાયો ને દૂર કરાવી આપણા સર્વ ઇચ્છિતોની પ્રાપ્તિ કરાવી આપે છે.
પરોપકારિતા એટલે શું?
- નમ્રપણે બીજાનું ભલું કરવું. નમો અરિહંતાણં પદ એ પરોપકાર ગુણની જ પ્રતિષ્ઠા છે.
- મન-વચન-કાયા અને બીજી પણ પ્રાપ્ત સામગ્રીને પરનું હિત થાય એ રીતે યોજવી તેનું નામ પરોપકાર છે.
- શ્રી તીર્થંકરો પોતે પણ સંસારમાં પરિભ્રમણ કરનારાઓને ભયંકર સંસારથી તારક પ્રવચન વડે પાર ઉતારું એ રીતે વિચાર કરીને જે જે પ્રકારે બીજાઓને ઉપકાર થાય તે તે પ્રકારે ઉદ્યમ કરે છે.
આત્મસમદર્શિત્વ એટલે શું?
- જગતના તમામ આત્માઓ આપણા આત્માની સમાન છે તેવો ભાવ એટલે આત્મસમદર્શિત્વ ભાવ.
- આપણને જેમ સુખ ઇષ્ટ છે અને દુ:ખ અનિષ્ટ છે તેમ જગતના તમામ જીવો ને સુખ ઇષ્ટ છે અને દુ:ખ અનિષ્ટ છે તેવો ભાવ રાખવો એટલે જ આત્મસમદર્શિત્વ.
- આત્મસમદર્શિત્વભાવ પ્રગટ્યા વિના ક્ષમા વગેરે ભાવો પણ પ્રગટી શકતા નથી.
- વીર પ્રભુએ તે ભાવ સર્વ જીવો સુધી વિસ્તાર્યો હતો, એકપણ જીવને બાકાત રાખેલ નહીં તેથી જ દંશવા આવેલ ચંડકૌશિક ઉપર પણ ભગવાન પોતાનો અખંડ મૈત્રીભાવ ટકાવી શક્યા હતા કારણ કે ભગવાનના આત્મામાં જગતના તમામ જીવો પ્રત્યે આત્મસમદર્શિત્વનો ભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો, તેથી ચંડકૌશિક જેવા અપરાધી ના હ્રદયમાં પણ સ્વાર્થભાવ વિલીન થઇ ગયો. પ્રભુની કરુણાપૂર્ણ દ્રષ્ટિએ તેનામાં પરહિતચિંતાનો ભાવ એવો જાગૃત કર્યો કે પ્રાણાંતે પણ સર્પનો એ ભાવ હણાયો નથી.
પરમાત્મસમદર્શિત્વ એટલે શું?
- પરમાત્મસમદર્શિત્વ ભાવ એટલે મારો આત્મા પરમાત્મા સમાન છે
- જગતના તમામ જીવો મારા આત્મા સમાન છે આવો આત્મસમદર્શિત્વ ભાવ આવ્યા વિના જ મારો આત્મા પરમાત્મા સમાન છે એ માનવા માત્રથી પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી અને એ સાચું પરમાત્મસમદર્શિપણું નથી પણ તે એક પ્રકારની ભ્રમણા છે. કારણ વિનાજ કાર્ય સિદ્ધિ માની લેવા જેવી બાળ ચેષ્ઠા છે.
- શ્રી નવકારમંત્ર ગણતી વખતે પાપનાશ અને મંગલનું આગમન પ્રયોજન તરીકે રહેવું જોઇએ. પાપનાશનો અર્થ પાપના બીજનો નાશ સમજવાનો છે. પાપનું બીજ એટલે જ અનાત્મસમદર્શિત્વ. મંગળનું આગમન એટલે પરમાત્માપદની પ્રાપ્તિ. તેનું બીજ પરમાત્મસમદર્શિત્વ ભાવ છે.
-
અંશથી પણ તે બંને પ્રકારનો ભાવ જો નવકારની આરાધના વડે ના વિકસે તો આરાધના નિષ્ફળ છે.
- આ રીતે સમજીને વિધીપૂર્વક આરાધેલો શ્રી નવકાર મંત્ર મોક્ષ સુખનું કારણ બને છે અને જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પણ આ લોકમાં સર્વત્ર પ્રશસ્ત અર્થ, કામ, આરોગ્ય અને આનંદ મંગળ તથા પરલોકમાં દેવ અથવા મનુષ્યની ઉત્તમ ગતિ અને બોધી વગેરેને પ્રાપ્ત કરાવી અંતે સિદ્ધિના અનંત સુખને આપનારો બને છે.
શેર કરવા નીચે ક્લિક કરો
આપ આપનાં પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખી શકશો...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶